ગેનીબેન ઠાકોરે 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ તેવી માગણી ગેનીબેન ઠાકોરે પત્ર લખી કરી છે.
ગુજરાતમાં OBC અનામત મુદ્દે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની 27 ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે.
ગેનીબેન ઠાકોરે 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માગણી કરી છે. ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર અને વણઝારા સહિતની 23થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને 27 ટકામાંથી 20 ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ઊભો કરવાની ગેનીબેન ઠાકોરે માગણી કરી છે.
5થી 10 જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો
ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ઓબીસી સમાજની 5થી 10 જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે OBC અનામતનો લાભ ફક્ત 5-10 જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે. બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે જ્યારે તેમણે ખાલી કરેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમણે OBC અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે.
ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માગણી કરી
તો એક તરફ જાતિ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માગણી કરી છે. તેમણે અન્ય રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારનો ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ OBC અનામતમાં બે ભાગલા પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે.
ગેનીબેનનાં પત્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
ગેનીબેનનાં અનામતનાં પત્ર મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેનીબેન અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા છે તેમને અનામતના બંધારણના નિયમ ખબર હોવા જોઈએ. ઓબીસીના 27 ટકા અનામતમાં જે જ્ઞાતિ આવતી હોય તે દરેક રાજ્યમાં એક સરખી જ હોય છે. ક્યાંક જ્ઞાતિ વધારે હોય તો ક્યાંય જે તે જ્ઞાતિની વસ્તી ઓછી પણ હોય છે. અનામતમાં સમાવિષ્ટ જ્ઞાતિ માટે અલગ અલગ અનામત માગવી મને યોગ્ય લાગતી નથી. અગાઉ કોર્ટને પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ અનામતમાં જ્ઞાતિમાં ભાગ ના પડી શકે. ગેનીબેનનો આ પત્ર છે તે સમજણ વગરનો છે. આ પત્ર લખવા પાછળ કારણ હોઈ શકે છે કે સ્થાનિક લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારવી જોઈએ. અનામતમાં રાજકારણ ના રમવું જોઈએ.









