કૃષ્ણનગરી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતીમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેની સુચના અનુસાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા છે.
રાજાધીરાજ ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. બહારથી આવતાં ભકતોને ભગવાન દ્વારકાધીશની આરતી દર્શન તેમજ ભગવાન દ્વારકાધીશના વિવિધ શૃંગાર દર્શન થાય તે માટે દ્વારકા મંદિરના સંચાલકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાનો રમણીય પંચકુઈ બીચ
દ્વારકાધીશ મંદિરથી તદ્દન નજીક આવેલ સુદામા સેતુથી ગોમતી નદીના સામા કિનારે આવેલ રમણીય પંચકુઈ બીચ દ્વારકા આવતા યાત્રીકો તેમજ સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહ્યો છે. દ્વારકા આવતાં યાત્રાળુઓ દેવ દર્શનની સાથે સાથે પંચકુઈ બીચનો આહલાદક આનંદ લેવાનું ચૂકતા નથી. અહીંના રમણીય સાગરકાંઠે વર્ષ દરમ્યાન શિયાળામાં અને અમૂક અનુકૂળ દિવસોમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા સમુદ્રની અંદર પણ અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા ખાનગી સંસ્થા દ્વારા ચાલી રહી છે. આ ઉપરાંત રમણીય બીચમાં ઉછળતાં મોજાંઓની સંગાથે ઊંટ સવારીની મજા માણવી એ આ બીચનો ઉત્તમ લાહવો છે. આ ઉપરાંત દ્વારકાના સંગમનારાયણ મંદિરથી લાઈટ હાઉસ વચ્ચે આવેલા બીચ ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે વોક-વે, વિશ્રામ વ્યવસ્થા અને શોપ માર્કેટ, પાર્કીંગ તથા વિવિધ લાઈટીંગની સુવિધા વિકાસાવી છે.

ઓખામઢી પાસેનો આકર્ષક બીચ તથા કાચબાઓનું મ્યુઝિયમ
જામનગરથી દ્વારકા તરફ ઓખામઢી પાસે આવતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગથી તદન નજીક ઓખામઢી બીચ આવેલો છે. જ્યાં સરકારના નેશનલ ગુજરાત મરીન પાર્ક આયોજીત દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્ર તથા કાચબાઓનું મ્યુઝિયમ વ્યવસ્થા આ બીચ ઉપર કુદરતના ખોળે આવેલાં આ અને માછલીઘર પ્રવાસીઓને નિહાળી શકે છે. અહીં વિશ્રામ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કૃષ્ણ ભગવાનની કર્મભૂમિના નિવાસ સ્થાન એવા બીચોનો જીવંત નજારો નીહાળવો એ જીવનનો અમૂલ્ય લાહવો છે.

શિવરાજપુરનો બ્લ્યુ ફલેગ બીચ આકર્ષણનું કેન્દ્ર
દ્વારકાથી બેટ દ્વારકા જતાં પ્રવાસીઓ દ્વારકાથી ઓખાના રાજ્ય ધોરીમાર્ગ પર જ્યાંથી પસાર થાય છે તે માર્ગ ઉપર દ્વારકાથી 10 કિમીના અંતરે શિવરાજપુર બીચ આવેલું છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી શિવરાજપુર બીચ ઉપર દર વર્ષે બીચ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્યની ભાતિગળ સંસ્કૃતિ અનુરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજવામાં આવે છે. અહીંના છીછરા કિનારામાં વર્ષમાં ખાસ કરીને શિયાળામાં અને અમૂક અનુકૂળ મોસમમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા પણ ખાનગી સંસ્થાનો દ્વારા ચાલી રહી છે.
નાગેશ્વર નજીકનું મોમાઈ ધામ
આવો જ બીચ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ પાસે મૂળવેલ ગામે આવેલ મોમાઈ ધામ ખાતેનો બીચ પણ પહાડી ઊંચાઈથી રાહરસ્તે પસાર થતાં ઊંડાણમાં આવેલ બીચ છે. જ્યાં મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર તથા પ્રવાસી સુવિધાઓ અને બાળ ક્રિડાંગણ આવેલાં છે. ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો બેટ દ્વારકાનો ડન્ની પોઈન્ટ અને છેલ્લે બેટ શંખોદ્ધાર (દ્વારકા)માં દ્વારકાધીશ મંદિરથી 5 કિ.મી. દૂર ડન્ની પોઈન્ટ નામના ટાપૂ પર આવેલ બીચ ઉપર ખાનગી સંસ્થાઓના સહયોગથી 2થી 3 દિવસના રોકાણ સાથેના કેમ્પની વ્યવસ્થા અગાઉ ઉપલબ્ધ હતી. જે તે સમયે આ બીચ ઉપરથી ભારત સરકારે જેને રાષ્ટ્રીય માછલીમાં મુખ્ય સ્થાન આપેલું છે. તેવા આ રમણીય બીચ ધરાવતા અહીંના દરીયામાં વ્હેલ માછલીના પણ અદભુત દર્શન તેમજ અન્ય દરીયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ પણ ખાનગી સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવતા હોય છે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ સ્થળની પર્યાવરણ વિષયના ગહન અભ્યાસ અર્થે અચૂક મુલાકાત લેતાં, પરંતુ ચોકકસ કારણોસર હાલ પ્રશાસન દ્વારા સહેલાણીઓને આ બીચ પર જવા મંજૂરી આપવામાં આવતી નથી.

સૃષ્ટિના ખોળે આવેલાં સોહામણા ટાપૂઓ
દ્વારકા વિસ્તારની ભૂમિ તથા દરીયાઈ વિસ્તારનું કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય એટલું ભરપૂર હોય એટલે જ ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડતાની સાથે આ વિસ્તારના કુદરતી દરીયાઈ ખોળા વચ્ચે આવેલાં ટાપૂઓને તેમની કર્મભૂમિ બનાવી હશે. દ્વારકા વિસ્તારના દરિયાની વચ્ચે આવેલાં ઓખા તથા બેટ શંખોધ્ધાર, પોસીત્રા સહિત નજીકના વિસ્તારોમાં આવેલાં ટાપુઓ નિહાળવા માટે દ્વારકાધીશના દર્શનાર્થે આવતાં પ્રવાસીઓ માટે એક અમૂલ્ય ભેટ છે. ચારેય દિશામાં વિશાળ દરિયાઈ મોજાના ઘોંઘાટમાં ચારેય બાજુ માત્ર પાણીની વચ્ચે તેમજ જમીનથી જોડાયેલ ટાપુઓ ઉપર પ્રવાસીઓ જાય છે અને ખાણી-પીણીની મોજ માણે છે. ત્યારે કુદરતી હવામાન અને કુદરતી પ્રકૃતિનું સૌંદર્ય તથા ટાપૂઓ ઉપર આવેલી કુદરતી સૃષ્ટિને જોઈને પ્રવાસીઓ ભારે અચંબિત બની જતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 24 પૈકી 21 ટાપુઓ ઉપર અવર જવર માટે લગત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી)ની મંજૂરી મેળવવી જરૂરી છે. અને આવી મંજૂરી દ્વારકા સરકારી હોસ્પિટલ સામે આવેલ પ્રાંત કચેરીએથી મેળવી શકાય છે. દ્વારકા નજીકના મહેસૂલી હકુમત ખંભાળીયા તળે આવેલાં દરીયાઈ ટાપુ નરારા ટાપુ ઉપર માનવ વસ્તી આવેલી છે અને આ ટાપુ ઉપર જવા માટે કોઈ પરવાનગીની જરૂર રહેતી નથી. બેટ શંખોદ્ધાર તથા પોસીત્રાના દરિયા કિનારેથી બોટ દ્વારા આ ટાપુ ઉપર જઈ શકાય છે.

કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ સહિત ટૂરીસ્ટ આકર્ષણો
આશરે આઠ માસ પહેલાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુના લોકાર્પણ બાદ બેટ દ્વારકા તીર્થ ક્ષેત્ર જમીન માર્ગે જોડાઈ જતાં સહેલાણીઓ તથા દર્શનાર્થીઓ માટે બેટ દ્વારકા જવું એકદમ સુગમ બન્યુ છે અને દરરોજના આશરે દસ હજાર જેટલા પ્રવાસીઓ તથા સ્થાનિકોની અવર-જવર ધરાવતો ધમધમતો બ્રિજ બન્યો છે. આ બેનમૂન બ્રિજ પર પ્રવાસીઓ માટે વ્યુઈંગ ગેલેરી, સેલ્ફી પોઈન્ટસ તેમજ રાત્રિના લાઈટીંગ ડેકોરેશનથી દિવસ દરમિયાન તથા રાત્રિના પણ આ બીચ નિહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. આ સાથે બેટ દ્વારકામાં પ્રવાસનના વિવિધ સ્કોપ ખૂલી જતાં ટુરીસ્ટ ઉદ્યોગને વેગ મળ્યો છે. દર વર્ષે બેટ દ્વારકાના પ્રાકૃતિક સૌંદર્ય સભર વાતાવરણમાં કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ, બીચના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો અને બેટ દ્વારકામાં પ્રવાસનલક્ષી સુવિધાઓમાં વધારો થવાથી પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક મંદિરોમાં ટુરીસ્ટની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી છે. સમગ્ર બેટ દ્વારકાના ટુરીઝમ ઉદ્યોગને વેગ મળ્યો છે.

દ્વારકામાં ગોમતી નદીમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો
દિવાળી નવા વર્ષમાં હજારો લોકો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ઠાકોરજીના દર્શન કરતાં હોય છે. ગોમતી ઘાટ પર મહિલાઓ માટે ચેન્જીગ રૂમ બનાવાયા છે. જેમાં મહિલાઓ સ્નાન બાદ સરળતાથી કપડા બદલી શકે. આજે નવા વર્ષ અને વેકેશનનો સમય હોવાથી દ્વારકા ખાતે ભીડ જામી છે ત્યારે ગોમતી ઘાટ પર ચેન્જીંગ રૂમ બંધ જોવા મળ્યા છે. ચેન્જિગ રૂમ બંધ હોવાથી મહિલાઓ ગોમતી નદીમાં સ્નાન બાદ ખુલ્લામાં કપડા બદલવા મજબૂર બન્યા છે. મહિલાઓની સુરક્ષા અને સલામતિ માટે બનાવાયેલા ચેન્જિગ રૂમ પર તાડા લાગતા મહિલાઓ માટે ગોમતી સ્નાન કરવામાં મુશ્કેલી વધી. તહેવાર ટાણે જ તંત્રની બેદરકારીથી અનેક મહિલાઓને ગોમતી ઘાટ પર અગવડતા પડી.









