૭૬માં પ્રજાસત્તાક દિવસને લઈને સમગ્ર ભારતવર્ષ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે, ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે. ૨૬ મી જાન્યુઆરીના રોજ થનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમો યોજાશે.


વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ. ૨૪૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ-ખાતમૂહુર્ત કરીને તાપી જિલ્લાના પ્રજાજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન યોજનામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે ૪૯ જેટલા ઇ-વ્હિકલનું લોકાર્પણ કરશે.

ઇ-રીક્ષા મારફત જ ઘન કચરા વ્યવસ્થાપન કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણહિતેષી અભિગમ સાથે ઉચ્છલ તાલુકાના ૭ ગામો માટે ઇ-વ્હિકલ, સોનગઢ તાલુકાના ૧૨ ગામો, વ્યારા તાલુકા ૧૦ ઇ-વ્હિકલ, ડોલવણ તાલુકા ૫ ઇ-વ્હિકલ, નિઝર તાલુકા ૫, કુકરમુંડા તાલુકા ૪ અને વાલોડ તાલુકા માટે ૫ ઇ-વ્હિકલ મળી કુલ-૪૯ ઇ-વ્હિકલનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાશે. આગામી સમયમાં તાપી જિલ્લામાં ઇ-રીક્ષા મારફત જ ઘન કચરા વ્યવસ્થાપન કરવામાં આવશે.


  • Follow us on: