રાજ્યમાં દિવાળી બાદ મોટાભાગની શાળાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ હરણીબોટ કાંડ બાદ રાજ્યમાં શાળાઓના પ્રવાસ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને શાળાઓ દ્વારા સુરક્ષા સાથે પ્રવાસ યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યની શાળાઓ માટે પ્રવાસને લઈ શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. 15 દિવસ પહેલા સંબંધિત અધિકારીને જાણ કરવી પડશે. RTO અને પોલીસને માત્ર જાણ કરવાની રહેશે. શૈક્ષણિક પ્રવાસ હેતુ 15 દિવસ પહેલાં જાણ કરવી પડશે.
શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
- શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સરકારી/ અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
- આ માર્ગદર્શક સૂચનાઓમાં પ્રવાસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી તેમજ સુરક્ષા માટે સૂચનાઓ અને કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવેલ છે.
- શૈક્ષણિક પ્રવાસ માટે હવે શાળાઓ દ્વારા પ્રવાસના ૧૫ (પંદર) દિવસ પહેલા તેમની શાળાને સંબંધીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી/ શાસનાધિકારી/ જિલ્લા શિક્ષણ અધિકારીને નિયત ફોર્મેટમાં જાણ કરવાની રહેશે.
- સાથોસાથ પ્રવાસના 15 (પંદર) દિવસ પહેલા સંબંધિત આરટીઓ(RTO) કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
- (૧) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને (૨) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો નિયામકશ્રી (શાળાઓ)ની કચેરી/ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ કચેરીને અને (૩) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગને જરૂરી વિગતો સાથે દિન 15 (પંદર) પહેલા જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
શાળાઓ માટે પ્રવાસને લઈ ધ્યાન રાખવા જેવી બાબત
- શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ
- 15 દિવસ પહેલા સંબંધિત અધિકારીને જાણ કરવી પડશે
- RTO અને પોલીસને માત્ર જાણ કરવાની રહેશે
- શાળા પ્રવાસન માટે ઠરાવ જાહેર થયો
- બોટરાઈડને મરજિયાત રાખવામાં આવી
- બની શકે ત્યાં સુધી બોટરાઈડને ટાળવી
- બોટરાઈડ કરાય તો ક્ષમતાથી વધુ ના બેસાડવા સૂચના
- લાઈફ જેકેટ ફરજિયાત રાખવા સૂચના
- પ્રવાસ માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી
- આચાર્યની અધ્યક્ષતામાં પ્રવાસ સમિતિ બનાવવી
- પ્રવાસ અંગે 15 દિવસ પહેલા જાણ કરવા સૂચના
- પ્રવાસના દિવસ પ્રમાણે વિગતો આપવાની રહેશે
- અનુભવી વ્યક્તિ કન્વીનર તરીકે રહેશે
- પ્રવાસ માટે કોઈને ફરજ નહીં પાડી શકાય
- 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક રાખવાની સૂચના
- ગ્રુપવાઈઝ એક શિક્ષક સાથે રાખવા ફરજિયાત
- ફર્સ્ટએઈડ કિટ સાથે રાખવાની રહેશે
- GPS ટ્રેકિંગવાળા વાહનોમાં જ પ્રવાસ કરવાનો રહેશે
- ફાયરસેફ્ટીના સાધનો રાખવા ફરજિયાત
- રાત્રે 10 વાગ્યા સુધી રોકાણસ્થળ પર પહોંચવું જરૂરી









