- રાજકોટ ભાવનગર હાઇવે વચ્ચે આવેલ જસદણના આટકોટનો ભાદર નદીનો પુલ
- પુલ 70 વર્ષ પહેલા બનેલો છે જેમાં સળિયા દેખાયા છે
- આ પુલ ગંભીર દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી
સરકારી અધિકારીઓને સરકારી વાહનો લઈને રાજકોટ કે ભાવનગર,અમરેલી જવું હોય તો આ પુલ પરથી પસાર થઈને જવું પડતું હોય છે પરંતુ અધિકારીઓને આ જર્જરી પુલ દેખાતો જ નથી તાજેતરમાં મેંદરડા સાસણ રોડ પર પુલ ધરાશાયી થયાની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી. ત્યારે આવી ગંભીર દુર્ઘટના ફરી કોઈ સ્થળે ન સર્જાય તે માટે તંત્રએ તપાસ કરવી જરૂરી છે પરંતુ જસદણના આટકોટ રોડ પર આવેલ ભાદર નદીનો પુલ ચોમાસાના વરસાદના પગલે જર્જરિત અને અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે.
પુલ અત્યંત જર્જરીત હાલતમાં છે
આ પુલને બનાવ્યો તેના 70 વર્ષ થઈ ચૂક્યા છે. આ પુલ રાજકોટ, અમદાવાદ ,સુરત ,અમરેલી, ભાવનગર હાઈ-વે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને જાણે નોતરું આપી રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. આ પુલ ખુબ જૂનો હોવાથી પુલની તમામ ગ્રીલ તૂટેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે.જસદણના આટકોટના ભાદર નદીના આ પુલમાં અનેક જગ્યાએ લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે.

તંત્ર જાગો અને ધ્યાન આપો
આ પુલ અકસ્માતે ધરાશાયી થાય અને જાનમાલની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની જરૂર છે. જો આ પુલ તૂટશે તો મોટો ગોજારો અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે અકસ્માતમાં કોઈનો જીવ જશે ત્યારે તંત્ર સહાય દેવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા દોડશે તેના કરતા હજુ સમય છે.તંત્ર દ્વારા વાહનચાલકોને પુલ પરથી પસાર થવામાં સાવધ રહેવાનું પણ બોર્ડ લગાવાયું નથી.જસદણના આટકોટ રોડ પરનો ભાદર નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે અને આ પુલ પરથી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર થાય છે.

છતાં તંત્રને આ બિસ્માર પુલની કફોડી હાલત દેખાતી નથી
હાલ પુલમાં નાંખેલ લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે. છતાં સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જો આ બિસ્માર પુલના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ તેવા આ પુલ પરથી પસાર થતા વાહનચાલકોમાં સવાલો ઉઠી રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો માટે આ પુલ પરથી પસાર થવામાં સાવધ રહેવાનું બોર્ડ લગાડવું જરૂરી બને છે.
લાંબા સમયથી પુલ જર્જરિત
આ પુલ કોઈ ગંભીર દુર્ઘટનાની આશંકા સર્જી રહી છે. જસદણના આટકોટ માં આવેલ ભાદર નદીનો પુલ પર દુર્ઘટના બનશે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ પુલની હાલની સ્થિતિ આવી જ કોઈ ગંભીર દુર્ઘટનાની આશંકા સર્જાઈ રહી છે. કારણ કે આ પુલ આજકાલનો નહી પરંતુ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આગામી સમયમાં આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેટલી હદે જર્જરિત બની ગયો છે. આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવા છતાં કોઈ દુર્ઘટના બને તે પહેલાં પુલનું કામ કરવું જરૂરી છે.









