• નિકાસ બંધ થતા ડુંગળીના પુરતા ભાવ નથી મળી રહ્યાં
  • ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ
  • ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું

ડુંગળીની નિકાસબંધી પર વિરોધ વધી રહ્યો છે. જેમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કિસાનો દ્વારા ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારી કચેરીએ રામધૂન બોલાવી રોષ પ્રગટ કરવામાં આવ્યો.

નોંધનીય છે કે, છેલ્લા રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે ખેડૂત નેતાએ જણાવ્યું કે, હાલ ડુંગળી ખેતરમાં પડી છે પણ ભાવો ન મળતા લણી શકતા નથી. જેને લઈ હાલ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. જેને તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

  • Follow us on: