• સરકારશ્રી થયેલી જમીન પરત અપાવવાના નામે છેતરપિંડી આચરી
  • વાસણા વિસ્તારમાં રહેતા અભિજીતસિંહ વાઘેલાએ નોંધાવી ફરિયાદ
  • ગાંધીનગરમાં સેકટર-7 પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી

અમદાવાદના વેજલપુર વિસ્તારની હદમાં આવતો પ્લોટ સરકારશ્રી થઈ ગયેલ છે,તો તે પ્લોટ પાછો અપાવવાના બહાને બાપ-બેટાએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી 28 લાખ રૂપિયા પડાવી લીધા છે,અધિકારી સહી કરશે એટલે રૂપિયા આપવા પડશે તેમ કહી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા હતા,તો ફરિયાદીનું કામ ના થતા રૂપિયા માંગ્યા હતા તો બાપ-બેટાએ હાથ અધ્ધર કર્યા.

ફરિયાદી જમીન લે વેચનો વેપાર કરે છે

અમદાવાદના વેજલપુર ખાતેની જમીન પૈકીની શ્રી સરકારમાં ગયેલી કપાતની જમીન પરત અપાવવાનો વિશ્વાસ કેળવી સચિવાલયમાં ઓળખાણ હોવાનો કારસો રચી ગાંધીનગરના બાપ દીકરા સહિત ત્રણ જણાએ અમદાવાદના એક વ્યકિતને 28 લાખનો ચૂનો લગાવી હાથ અધ્ધર કરી લેતાં સેકટર - 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.અમદાવાદ ધરણીધર દેરાસર પાછળ વૃંદાવન વિહાર ફલેટમાં મૂળ લીંબોદરા ગામના વતની અભિજીતસિંહ પ્રવિણસિંહ વાઘેલા ટાઇલ્સ તેમજ જમીન લે વેચનો ધંધો કરે છે.

વેજલપુર મામલતદારની હદમાં આવે છે જમીન

મોજે વેજલપુર સર્વે નંબર 89 કુલ 21 હજાર ચો.મી વાળી જમીન મૂળ માલિકો પાસેથી 10 હજાર 500 ચો.મી જમીન અંબિકા સોસાયટીનાં ડેવલોપરે વેચાણ રાખેલી હતી. જે પુરેપુરી જમીન ઉપર અંબીકા સોસાયટીનુ બાંધકામ થયેલું અને બાકીની જમીન જમીન રમેશભાઈ જીવાભાઈ દેસાઈએ વેચાણ રાખી હતી. આ જમીનની કુલ 30 ટકા જમીન કપાતમાં ગઈ હતી.આ શ્રી સરકાર થયેલી કપાતની જમીન પરત મેળવવા માટે મિત્રતાનાં નાતે રમેશ દેસાઈએ વર્ષ - 2020 માં અભિજીતસિંહને વાત કરી હતી. આથી અભિજિતસિંહ જમીનની ફાઇલ લઈને એ દિશામાં કાર્યવાહી કરી રહ્યા હતા.

સચિવાલયમાં ઓળખાણ છે તેમ કહી ફાઈલ લઈ ગયા

દરમિયાન તેમની મુલાકાત રમેશભાઈ નાનજીભાઈ સોલંકી સાથે થઈ હતી. ત્યારે રમેશ સોલંકી સચિવાલયમાં ઓળખાણ હોવાની વાત કરી ઉપરોક્ત જમીન બાબતે સચિવાલયમાં નોકરી કરતા તેના મિત્ર પુંજાભાઈ ગણેશભાઈ સોલંકી કામ કરી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો.બાદમાં અભિજિતસિંહને સચિવાલય ગેટ નંબર - 1 આગળ રમેશભાઈ અને પુંજાભાઈએ મળવા બોલાવી શ્રી સરકાર થયેલી જમીનની વાત કરી બે દિવસ પછી ટોકન પેટે રૂ. 1 લાખ લીધા હતા. અને વધારાની કપાતની જમીન પેટે 30 % જમીનનો નવો ફાઇનલ પ્લોટ વેજલપુરમાં જ ફાળવી આપવાનો ભરોસો આપી બીજા એક લાખ લીધા હતા. જે કામ પેટે 70 લાખ ભાવ નક્કી કરી ઉક્ત જમીન પેટે 15 લાખ સ્ટેમ્પ ડયુટી ભરાવી કાચી નોંધ કરાવી દેવાની તૈયારી પણ દર્શાવી હતી.

28 લાખની રકમ લઈ ગયા

થોડા દિવસ પછી પુંજાભાઇએ બીજા સાત લાખ લઈને સચિવાલય ગેટ - 1 આગળ અભિજિતસિંહને બોલાવ્યા હતા.જ્યાં પુંજાભાઈ તથા તેમનો દિકરો રાજેશભાઈએ બે મહિનામાં કામ પૂરું કરી દેવાનું કહી 7 લાખ રોકડા લીધા હતા.જેનાં બે દિવસ પછી ઈ-ધારામાં નોંધ પડાવવા માટે રૂ. 10 લાખની માંગણી કરાઈ હતી. જેથી અભિજિતસિંહે બે તબક્કામાં 10 લાખ આપ્યા હતા.પરંતુ વાયદા મુજબ કામ થયું ન હતું અને કુલ રકમ 28 લાખ લઈ લીધી હતી.


  • Follow us on: