- અકસ્માતના બ્લેક સ્પોટસ દૂર કરવા તાકીદ
- બે હજાર કરોડના વિકાસ કામોની ગુજરાતને ભેટ
- રોડ માટે વૃક્ષો કાપવા કરતા યોગ્ય જગાએ ટ્રાન્સપ્લાન્ટ વધુ ઉત્તમ
કેન્દ્રીય સડક પરિવહન-રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 82મા એન્યુઅલ ઈન્ડિયન રોડ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો, આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે પાંચ લાખ જેટલા અકસ્માત થાય છે, જેમાં ઘણી વાર ખામીયુક્ત રોડ એન્જિનિયરિંગ પણ જવાબદાર છે, લોકોના જીવ બચાવવા માટે એન્જિનિયરોને અકસ્માતના બ્લેક સ્પોટસ દૂર કરવા માટે તાકીદ કરી હતી. દેશમાં વર્ષે પાંચ લાખ અકસ્માતમાં 1.5 લાખ જેટલા લોકોનાં મોત થાય છે અને ત્રણ લાખ જેટલા લોકોને નાની મોટી ઈજા થતી હોય છે, જેનાથી દેશના જીડીપીને 3 ટકાનું નુકસાન થાય છે. દરેક અકસ્માતમાં વાહન ચાલકને દોષી માનવામાં આવે છે પણ રોડ એન્જિનિયરિંગમાં ખામી છે.
વૈકલ્પિક સામગ્રી અને નવી ટેક્નોલોજીનો ઉપયોગથી સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા તેમજ ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના બાંધકામ ખર્ચમાં ઘટાડો લાવવાની તાકીદ કરતાં તેમણે કહ્યું કે, હું પણ અક્સ્માતનો ભોગ બન્યો હતો અને ચાર હાડકાં તૂટયા હતા. અકસ્માત મોતમાં 18થી 34 વર્ષના 60 ટકા જેટલા યુવાનો છે, ખામીયુક્ત એન્જિનિયરિંગના કારણે થતાં માર્ગ અકસ્માતને ટાળવા માટે કામ કરવું ખૂબ જરૂરી છે. ડિઝાઈન અને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના પરફેક્ટ ડીપીઆર પર ફોકસ કરવા તાકીદ કરી હતી. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓ તેમના એકાધિકારને કારણે કોઈ પણ કારણ વગર ભાવો વધારતા રહે છે, આ સ્થિતિમાં વૈકલ્પિક બાંધકામ સામગ્રીના ઉપયોગ તરફ જવાની જરૂર છે. સિવિલ ઈજનેરો આધુનિક ભારતના નિર્માતા-વિશ્વકર્મા છે.










