સુરતમાં ફરી એક વખત ભીષણ આગની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં બે મોટી કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. કંપનીમાં આગ લાગતા તાત્કાલિક હાજર લોકોએ ફાયરબ્રિગેડની જાણ કરી. આગ ઘટનાની જાણ થતા હોજીવાલા ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડો પાંચથી વધુ ગાડી લઈ ઘટનાસ્થળ પર પંહોચ્યા અને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી. સદનસીબે આજે હોળી તહેવારની રજા હોવાથી કંપનીમાં કામદારો રજા પર હતા. એટલે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
સચિન વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ કાપડની કંપનીમાં આગની ઘટના બની. પહેલા DGVCLની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં આગ લાગી હતી. DGVCL કંપનીમાં યાર્નનો જથ્થો હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કંપનીમાં કાપડનો જથ્થાના કારણે આગ બેકાબૂ બની અને બાજુની પાર્થ પ્લાસ્ટિક કંપનીમાં પણ ફેલાઈ ગઈ. આગ બેકાબૂ થતાં પ્લાસ્ટીકની કંપની પણ આગના ભરડામાં આવી.બે કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ બળીને ખાખ થયો. બે કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશોમાં આગને પગલે ભયભીત થયા. તહેવારની ઉજવણી કરતા રહીશોમાં ફફટાટ જોવા મળ્યો.
શહેરમાં અવારનવાર બની આગ દુર્ઘટના
શહેર માટે આ વર્ષ અગનજવાળા બની રહ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં શહેરમાં રિંગરોડ પર આવેલ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલ આગમાં 450થી વધુ દુકાનો આગના ભરડામાં આવી હતી અને કરોડોના માલ સામાનને નુકસાન થયું હતું. એ પહેલા જાન્યુઆરીના અંતમાં કાગળ-કાપડના ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. અને તે અગાઉ 2024ના વર્ષના છેલ્લા દિવસે હજીરા વિસ્તારમાં ANNS કંપનીમાં આગ દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. જેમાં 4ના મોત નિપજયા હતા.
અને નવેમ્બર 2024માં સિટીલાઈટના શિવપૂજા કોમ્પલેક્સમાં ચોથી માળે આગ દુર્ઘટનામાં 2 મહિલાના મોત થયા હતા. અને આ આગ ઘટનામાં શિવપૂજા કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આવેલ જીમની અંદર ગેરકાયદે સ્પા ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.આ માહિતી બતાવે છે કે સુરત શહેરમાં દર મહિને આગ દુર્ઘટના બને છે. અને આ આગ દુર્ઘટનામાં માલસામાન બળીને ખાખ થઈ જતા કરોડોનું નુકસાન થાય છે.









