- પાલિકાની કાર્યવાહીથી વેપારીઓ ઉતર્યા રોડ પર
- ફાયર વિભાગ અને પાલિકાની કામગીરી સામે વિરોધ
- વેપારીઓ રોડ પર આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ ગુજરાતનુ ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે,ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્રારા 100થી વધુ દુકાનોને સિલ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.સરદાર ભવનના ખાંચામાં વેપારીઓએ રોડ પર ઉતરી વિરોધ કર્યો છે,બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વેપારીઓને સમજાવી રહી છે.
સતત ચોથા દિવસે તપાસ
ફાયરબ્રિગેડ અને પાલિકાની ટીમો દ્વારા સતત ચોથા દિવસે તપાસ કરાઈ હતી. કોમર્શિયલ સંસ્થાની સાથે વધુ ભીડ ભેગી થતી હોય તેવી ધાર્મિક સંસ્થાને પણ અગ્નિશમન, જીવન સુરક્ષાનાં સાધન રાખવા નોટિસ અપાઈ હતી.ફાયરબ્રિગેડે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ફતેગંજ લાલચર્ચ, ખંડેરાવ માર્કેટ પાસે ગુરુદ્વારા અને ગેંડીગેટ જુમ્મા મસ્જિદમાં બદલાવ કરવા સૂચન કર્યાં હતાં. બીજી તરફ હોસ્પિટલ, શાળા, મોલ, સિનેમાગૃહો સહિત 400 સ્થળે તપાસ કરીને 341 એકમોને સીલ કર્યાં હતાં. 155ને નોટિસ અપાઈ હતી.

નોટિસ આપેલ સંસ્થાઓ
ગુરુદ્વારા, ખંડેરાવ માર્કેટ
લાલ ચર્ચ, ફતેગંજ
જુમ્મા મસ્જિદ, ગેંડીગેટ
BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરા
ભાઈલાલ અમીન હોસ્પિટલ, ગોરવા
યુનિટી હોસ્પિટલ, ગોત્રી
વિનસ હોસ્પિટલ, ઓપી રોડ
બરોડા હર્ષ ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર, જૂના પાદરા રોડ
ડી માર્ટ, વાઘોડિયા રોડ
મુવી પ્લેક્સ સિનેમા, ગોત્રી
અર્થ આઇકોન સિનેમાર્ટ, ખોડિયાર નગર
પેરેમાઉન્ટ ડાયગ્નોસ્ટિક-રિસર્ચ સેન્ટર, અલકાપુરી
ઈશિતા હોસ્પિટલ, વાસણા રોડ
ભાવનગરમાં પણ વેપારીઓ વિરોધમાં ઉતર્યા
હલુરીયા વિસ્તારમાં મહાપાલિકાના ફાયર વિભાગે તપાસ હાથધરી હતી અને એક બિલ્ડીંગને સિલ માર્યુ હતુ તેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. હલુરીયા, દિવાનપરા, વોરાબજારમાં વેપારીઓ ભેગા થયા હતા અને ફાયર સેફ્ટીના મામલે સિલ મારવાની કામગીરી કરવામાં આવે છે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ફાયર સેફ્ટીની સમજ આપવા અને સાધનો નખાવવા માટે સમય આપવામાં આવે તેવી માંગણી છે. નિયમનુ પાલન કરવા વેપારીઓ તૈયાર જ છે પરંતુ હાલ સાધનો બજારમાં ફાયર સેફ્ટીના સાધનો તત્કાલ મળતા નથી.









