- ઉદ્યોગોની માગને ધ્યાને રાખી યુવાઓને પ્રશિક્ષિત કરાશે
- CM ભવિષ્યલક્ષી વિકાસ યોજનામાં 19 હજારે લાભ લીધો
- મેગા આઈટીઆઈ નિર્માણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે
રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી રાજ્ય સરકારે અનેકવિધ રોજગારલક્ષી આયામો શરૂ કર્યા છે, જેને વધુ પ્રાધાન્ય આપવા સ્કીલ ડેવલપમેન્ટ આધારે અમદાવાદની કુબેરનગર સહિત વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ એમ ઝોન મુજબ પાંચ મેગા આઈટીઆઈ નિર્માણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, ગુજરાતના ઉદ્યોગ ગૃહોની જરૂરિયાત, માગને ધ્યાને રાખી રાજ્યની આઈટીઆઈમાં યુવાઓને સમયની માગ મુજબ પ્રશિક્ષિત કરાશે, જેથી યુવાનોને ઉદ્યોગ એકમોમાં વધુને વધુ રોજગારીની તકો મળશે.
રાજ્ય સરકારના પ્રવકતાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી વિકાસ યોજના અંતર્ગત 19 હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસક્રમોમાં સંકળાયેલા છે. વર્તમાન સમયમાં બ્લોકચેઈન ટેક્નોલોજી, એઆર (ઓગમેન્ટેડ રિયાલિટી) અને વર્ચ્યુઅલ રિયાલિટી, ડેટા સાયન્સ અને બિગ ડેટા, ગ્રીન એનર્જી તેમજ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન ક્ષેત્રમાં કૌશલ્યની માગ વધી રહી છે તે મુજબ ન્યુ એઈજ કોર્સિસ અંતર્ગત તાલીમ જરૂરી બની છે. ન્યુ એઈજ અભ્સાક્રમોમાં અત્યારે રાજ્યના 19 હજારથી વધુ વિદ્યાર્થીએ લાભ મેળવ્યો છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ચાર વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરાયા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં સ્કિલ ક્ષેત્રનું ચિત્ર બદલાશે. એઆઈ, બિઝનેસ ઈન્ટેલિજન્સ, ઈન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ સહિતના ક્ષેત્રમાં નોકરીની તકો વધશે.










