- પૂર્વ પાક ક્રિકેટરનું વિવાદિત નિવેદન
- હરભજન સિંહને લઈને કર્યો મોટો દાવો
- ભજ્જીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવો હતો : હક
પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પોતાના તાજેતરના નિવેદનમાં દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયાના એક સમયના સફળ બોલર હરભજન સિંહે તેમની સામે ઈસ્લામ અંગીકાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ભારતમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની પ્રશંસકોની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ નારાજ છે. પરિણામે તેઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. તાજેતરનો મામલો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક સાથે સંબંધિત છે, જેમણે ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહને લઈને એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
હરભજનને ઈસ્લામ અપનાવવો હતો : હક
હકીકતમાં, પૂર્વ પાકિસ્તાની કેપ્ટને પોતાના તાજેતરના નિવેદનમાં દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે તેમની સામે ઈસ્લામ અંગીકાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ મૌલાના તારિક જમીલથી ખૂબ પ્રભાવિત હતા. એટલું જ નહીં, ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન બ્રાયન લારાને લઈને પણ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ભજ્જીએ ઈન્ઝમામની ઉગ્ર ઝાટકણી કાઢી હતી.
ભારતીય ખેલાડીઓ મૌલાનાને મળવા આવતા હતા
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે મૌલાના તારિક જમીલ દરરોજ અમને મળવા આવતા હતા. નમાઝ પઢવા માટે એક ઓરડો હતો. જ્યાં અમે ભારતીય ક્રિકેટરો ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને બોલાવતા હતા પરંતુ તેમની સાથે બે-ત્રણ વધુ ભારતીય ખેલાડીઓ આવતા હતા. જો કે તે નમાઝ પઢતા ન હતો, પરંતુ તે મૌલાનાને સાંભળતા હતો અને તેને ખૂબ પસંદ કરતા હતા.
ભજ્જીનો ઉલ્લેખ કરતાં ઈંઝમામે કહ્યું કે તેણે મને એક વખત કહ્યું હતું કે મૌલાના જે કહે છે તે સાચું છે. મને પણ એમની વાત સ્વીકારવાનું મન થાય છે. હરભજને કહ્યું કે હું તમને જોઉં છું અને પછી રોકાઈ જાઉં છું. કેમ કે તમારું જીવન એવું નથી. લારા અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે એક મેચ બાદ મોહમ્મદ યુસુફે બ્રાયન લારાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે તે ડિનર પર આવ્યો ત્યારે યુસુફે તેને અલ્લાહના શબ્દો સંભળાવ્યા, જે સાંભળ્યા બાદ લારાએ કહ્યું કે જીવન મુસલમાનોની જેમ જીવવું જોઈએ. તમને જણાવી દઈએ કે મોહમ્મદ યુસુફ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર છે. તે ઈન્ઝમામની કેપ્ટનશીપમાં રમતા હતા. તેમણે 2005માં ઈસાઈ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
ભજ્જીને આવ્યો ગુસ્સો
ઈન્ઝમામનો વીડિયો વાયરલ થતા જોઈને હરભજન સિંહ ગુસ્સે થઈ ગયો. ભજ્જીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈંઝમામ ઉલ હક માટે લખ્યું છે કે આ કયા નશામાં ડૂબીને વાત કરી રહ્યો છે? હું ભારતીય અને શીખ હોવા પર ખૂબ જ ગર્વ અનુભવું છું. આ બકવાસ લોકો કંઈ પણ બોલે છે.