ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે. જેમાં ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ કરતાં હોય છે. જેને લઈને ફાળોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે માંગ વધતા ફળના ભાવમાં એકા-એક વધારો સામે આવ્યો છે.
વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો
બીજી બાજુ ભારે વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ફળના ભાવ વધ્યા છે અને શહેરીજનોનું બજેટ ખોળવાઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં 100 રૂપિયે કિલો મતા ફળના ભાવ અત્યારે 300 રૂપિયે પોહચી ગયા છે.
| ફળ | નવો ભાવ | જૂનો ભાવ |
| સફરજન | 200-250 રૂ કિલો | 150 રૂ કિલો |
| કેળા | 50 રૂ ડઝન | 30 રૂ ડઝન |
| દાડમ | 250 રૂ કિલો | 160 રૂ કિલો |
| પપૈયું | 60 રૂ કિલો | 30 રૂ કિલો |
| નારંગી | 250 રૂ કિલો | 150 રૂ કિલો |
| મોસંબી | 30 રૂ કિલો | 20 રૂ કિલો |
| તરબૂચ | 30 રૂ કિલો | 10 રૂ કિલો |
| ડ્રેગન ફ્રુટ | 300 રૂ કિલો | 200 રૂ કિલો |
| કિવિ | 150 રૂ 4 નંગ | 80 રૂ |
લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો
બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, ઘીલોડા સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે.
ફૂલોના ભાવમાં પણ મોટો વધારો
આ સાથે જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ મોટો વધારો થયો છે. જે ફૂલ સામાન્ય દિવસમાં સસ્તા ભાવે મળે છે, તે ફૂલના ભાવમાં હાલમાં બમણો વધારો થયો છે અને સામાન્ય લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા પર પહોંચ્યો છે.









