• સચિવાલયમાં ત્રણ દિવસ સુધી મંત્રીઓ, ઓફિસરો નહીં મળે

  • નમો લક્ષ્મી પોર્ટલ પર 4 લાખ અને નમો સરસ્વતી પોર્ટલ પર 37 હજારથી વધુની નોંધણી
  • અધિકારીઓ ત્રણ દિવસમાં 32.33 લાખ બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવશે

21માં શાળા પ્રવેશોત્સવનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુણાકંન તેમજ કન્યા કેળવણી મહોત્સવની સાથે ત્રણ દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના આંતરિયાળ ગામ બિલિઆંબાથી કરાવશે.

બીજા દિવસે તેઓ છોટાઉદેપુર અને ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ગામમાં બાળકોને શાળાએ પ્રવેશ કરાવશે. ત્રણ દિવસ ચાલનારા પ્રવેશોત્સવમાં મંત્રીઓ અને ક્લાસ વન ઓફિસરને રાજ્યભરની શાળાઓની જવાબદારીઓ સોંપયેલી હોવાથી અહીં સચિવાલયમાં તેઓ ઉપલબ્ધ થઈ શકશે નહી.

પ્રવેશોત્સવમાં IAS, IPS, IFS કેડર ઉપરાંત વર્ગ-1ના 367 અધિકારીઓને ત્રણ દિવસ માટે અલગ અલગ તાલુકાઓની જવાબદારી સોંપાઈ છે. રાજ્યમાં પદાધિકારીઓ સાથે પાંચ હજાર ઉપરાંત અધિકારીઓ ત્રણ દિવસમાં 32.33 લાખ બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવશે. તેની સાથે શૈક્ષણિક અને ગ્રામીણ ક્ષેત્રનુ નિરીક્ષણ કરશે. કન્યા કેળવણી અંતગર્ત આ વર્ષે અમલમાં મુકવામાં આવેલી નમો લક્ષ્મી યોજનામાં અત્યાર સુધીમાં કુલ 11,966 શાળાઓની નોંધણી થઈ છે. જેમાંથી 4,03,168 વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખવામા આવી છે.

33 જિલ્લામાં ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાંથી મોટી સંખ્યાઓમાં નોંધણી થઈ છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અત્યાર સુધીમાં 924 વિજ્ઞાન પ્રવાહની શાળાઓની નોંધણી થઈ છે. જેમાં 37 હજારથી વધારે વિદ્યાર્થીઓએ તેનો લાભ લેવા માટે અરજી કરી છે. તેમાં પણ ડાંગ, છોટાઉદેપુર, દાહોદ બોટાદ, તાપી, બનાસકાંઠા જિલ્લાઓ મોખરે રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 50 હજાર અને નમો સરસ્વતી યોજના હેઠળ વાર્ષિક રૂ.25 હજારની સહાય મળવાપાત્ર છે.


  • Follow us on: