• SP રિંગ રોડ પર ત્રાગડ અંડરપાસ ત્રણ દિવસથી બંધ હતો, સ્ટ્રોમ વોટરલાઇનનું નેટવર્ક ખરા ટાઈમે પાણીમાં !

  • ચાર કિમીનું અંતર કાપતા 34 મિનિટથી વધુ સમય વિત્યો, વૈષ્ણોદેવી જંક્શને જામ
  • રસ્તા પર ખાડા, અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોમાં આક્રોશ

અમદાવાદને ઉત્તરે ઔડાના સરદાર પટેલ- SP રિંગ રોડ પર વૈષ્ણોદેવી જંકશનથી ઝુંડાલ ક્રોસ રોડ વચ્ચે ત્રાગડ અંડરપાસ પાણી ભરાતા ત્રણ દિવસથી બંધ હતો. જેનાથી સરખેજ- ગાંધીનગર SG હાઈવે ઉપર ભારણ વધતા શુક્રવારે સાંજે 6-30 વાગ્યાથી રાતના 9-30 કલાક એમ ત્રણ કલાકના પીક અવર્સમાં લાખો વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ પડયા હતા.

 ગાંધીનગરથી નિકળેલા વાહનોને અડાલજથી વૈષ્ણોદેવી જંકશન વચ્ચે માત્ર ચાર કિલોમીટરનું અંતર કાપતા 34 મિનિટથી પણ વધુ સમય લાગ્યો હતો.ગાંધીનગર અને અમદાવાદને જોડાતા અને આ બંને નગરોના આંતરીક રસ્તાઓ પહેલાથી જ ભ્રષ્ટાચારના ખાડા, નબળી ગુણવત્તાના કામોના ખાબોચિયાઓ તેમાં ભરાયેલા કાદવ- કીચડે લથબથ છે ત્યારે SP રીંગ રોડ ઉપર સૌથી વધારે વ્યસ્ત ત્રાગડ અંડરપાસમાં પાણીના ભરાવથી નાગરીકોમાં ભારે રોષ છે. કારણ કે બંને મહાનગરોને જોડતા અડાલજ, ઝુંડાલ, જમિયતપુરા, ખોરજ, ત્રાગડ એમ પાંચ ગામોમાંથી આવતા વરસાદી પાણીના કુદરતી નિકાલની વ્યવસ્થાના વિકલ્પમાં ઔડા, ગુડા અને બંને શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશનોએ રૂ.600 કરોડથી વધારે રકમના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈનનું નેટવર્ક તૈયાર કર્યુ છે. જે ખરા સમયે જ પાણી ભેગુ થઈ ગયુ છે. પાણી ભરાવાથી ત્રાગડ અંડરપાસ ત્રણ દિવસથી બંધ રહેતા વૈષ્ણોદેવી જંકશનથી એરપોર્ટ કે ઝુંડાલ તરફ આવાગમન કરનાર ટ્રાફિકને અડાલજ ક્લોવર લીફ થઈને અન્નપૂર્ણા સર્કલથી કોબા કે ઝુંડાલ જવુ પડી રહ્યુ છે. આ કારણોસર શુક્રવારે ત્રણ કલાકથી વધુ સમય ટ્રાફિક જામ થયો હતો.

ત્રાગડ અંડર પાસ ત્રણ દિવસ બાદ ખુલ્લો મુકાતા હાશકારો

ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાવવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ઔડા દ્વારા ટેમ્પરરી પાઇપ મૂકીને મેઇન હોલમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ રાખતા શુક્રવાર રાત સુધીમાં ત્રાગડ અન્ડપાસ ખુલ્લો થઈ ગયો હતો. ત્રણ દિવસ બાદ આખરે અંડરપાસ ખુલ્લો મુકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • Follow us on: