• ખેડાના નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ ઊજવાયો

  • ધ્વજવંદન બાદ મુખ્યમંત્રીએ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંગીન બનાવવા રૂ.5017 કરોડ ફાળવ્યા
  • વિકાસ પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતુ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના નડિયાદમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો લહેરાવ્યા બાદ ધ્વજવંદના સાથે જ સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ તેમજ સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી.

 જેમાં તેમણે પ્રધાનમંત્રી- PM ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરીયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂપિયા 15 હજારથી વધારીને રૂ.20 હજાર કરવા માટે નિર્ણય કર્યાનું જાહેર કર્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગ વિસ્તાર અને મજબૂતીકરણ માટે રૂપિયા 5,017 કરોડની ફાળવણી કર્યાનું પણ નડિયાદથી જાહેર કર્યુ હતુ. નડિયાદમાં ગુજરાતીઓની શૌર્યગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા, ચપળતાના નિદર્શનો રજૂ કરવામા આવ્યા હતા.

મુખ્યમંત્રીએ પ્રાસંગોચિત પ્રવચનમાં કહ્યુ કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યુ તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પણ આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે. તેમણે કહ્યુ કે, આધુનિક સંપર્ક માધ્યમે નાગરિકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે, સરકાર પણ સામે ચાલીને તેન સમાધન લાવે તે ઉદ્દશ્યથી કાર્યરત છે. તેના માટે ડિજિટલ ગુજરાત, સ્વાગત ઓનલાઈ; CM ડેશબોર્ડ, વોટ્સેપ બોટ, રાઈટ ટુ CM સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુને વધુ અદ્યતન ટેકનોલોજીથી સજ્જા કરાશે. તેમણે વિકાસ પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે આહવાન કર્યુ હતુ. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુખ્યસચિવ રાજકુમાર, પોલીસવડા વિકાસ સહાય સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે રાજ્યના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.


  • Follow us on: