થાનમાં રહેતા વૃધ્ધા સામાજિક કામસર ચૂડા ગયા હતા. જયાંથી પરત થાન જવા માટે તેઓ ગત તા. 08-10ના રોજ રાત્રે ઈન્ટરસિટી ટ્રેનની રાહ જોઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન બેઠા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ વાળી ચા પીવડાવી તેઓને બેભાન કરી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂ. 1,25,500ની મત્તાની ચોરી કરી લઈ ગયાની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રને દેશના અન્ય ભાગો સાથે જોડતુ મહત્વનું રેલવે સ્ટેશન છે. રાત્રીના સમયે પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે. ત્યારે એક વૃધ્ધાને બેભાન કરી રોકડ અને ઘરેણાંની ચોરીનો બનાવ સામે આવ્યો છે. રેલવે પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ થાનના રૂપાવટી રોડ પર આવેલા ધર્મેન્દ્રનગરમાં રહેતા 65 વર્ષીય સુભાનબેન મહોમદભાઈ જરગેલા ગત તા.08મીએ સામાજીક કામસર ચૂડા ગયા હતા. જયાંથી પરત થાન જવા માટે તેઓ ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી લોકલ ટ્રેનમાં સાંજે સુરેન્દ્રનગર આવ્યા હતા અને સુરેન્દ્રનગરથી થાન જવા ઈન્ટરસીટી ટ્રેનની રાહ જોઈ સ્ટેશને બેઠા હતા. જેમાં તેઓને માથામાં બળતરા થતા પરબે પાણી પી અને માથા પર પાણી છાંટીને બાંકડા પર બેઠા હતા. આ સમયે એક પીળી સાડી પહેરેલી સ્ત્રી અને બે પુરૂષ તેમની પાસે આવ્યા હતા. અને મજા ન હોય તો ચા કે ઠંડુ પીવો તેમ કહ્યુ હતુ. પરંતુ વૃધ્ધાને ના પાડી હતી. તેમ છતાં પરાણે તેઓને ઝેરી પદાર્થ ભેળવેલી ચા પીવડાવી હતી અને થોડીવારમાં સુભાનબેન બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આ ત્રણેય શખ્સો સુભાનબેને પહેરેલા રૂ. 30 હજારની સોનાની બુટ્ટી, રૂ. 20 હજારની સોનાની સેર, રૂ.1 હજારની કિંમતના સોનાના કાનના દાણા, રૂ. 500નો સોનાનો નાકનો દાણો, 50 હજારની સોનાની ચેન, રૂ.20 હજારના પગમાં પહેરેલ ચાંદીના છડા અને રોકડા રૂ. 4 હજાર મળી કુલ રૂપિયા 1,25,500ની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. બનાવની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારે તપાસ કરતા વૃદ્ધા બેભાન હાલતમાં મળી આવ્યા

સુભાનબેન જરગેલા સમયસર થાન ઘરે ન પહોંચતા પરિવારજનોને ચિંતા થઈ હતી. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા તેમના સગાને જાણ કરી રેલવે સ્ટેશને તપાસ કરવા મોકલ્યા હતા. જેમાં રેલવે પોલીસને સાથે રાખી તપાસ કરતા રેલવે સ્ટેશને રાજકોટ તરફ જવાના પ્લેટફોર્મના છેડે વૃધ્ધા બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

અંદાજે 12 કલાક પછી વૃદ્ધા ભાનમાં આવ્યાં

મંગળવારે રાતના સમયે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને બેભાન હાલતમાં મળી આવેલ સુભાનબેનને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં અંદાજે 12 કલાક પછી તેઓ ભાનમાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ તેઓના ઘરેણાં ચોરી થઈ ગયાની જાણ થતા તેઓની સ્થિતિ સારી ન હતી. ત્યારે છેક ગુરૂવારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા પોલીસે તેઓનું નિવેદન લઈને ગુનો દાખલ કર્યો હતો.

મહિલા સહિત ત્રણ આરોપી પોલીસના હાથવેંતમાં

મંગળવારે રાત્રે બનેલા બનાવની જાણ થતા જ રેલવે ઈન્ચાર્જ પીએસઆઈ એ.એસ.શુકલ, હરપાલસીંહ સહિતની ટીમે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવાનું આરંભ્યુ હતુ. જેમાં વૃધ્ધા પાસે રેલવે સ્ટેશને એક પીળી સાડી પહેરલ મહિલા અને બે પુરૂષ શંકાસ્પદ નજરે પડયા હતા. બાદમાં તેઓ રાજકોટ તરફની ટ્રેનમાં રેલવે સ્ટેશનેથી રવાના થયા હતા. આ ત્રણેયની તસવીરો સૌરાષ્ટ્ર તરફના રેલવે પોલીસને મોકલાતા ત્રણેય હાલ સૌરાષ્ટ્ર તરફના એક રેલવે સ્ટેશને ઝડપાયા છે અને સુરેન્દ્રનગર રેલવે પોલીસ તેઓનો કબજો લેવા રવાના થઈ છે.


  • Follow us on: