APMC ગાંધીનગર આલમપુર શાક માર્કેટ ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી દ્વારા રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરાયું છે. જેમાં અંદાજે 40થી વધુ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત એક સપ્તાહમાં 500થી વધુ વાહનોને પણ રિફ્લેક્ટર લગાવવાનું આયોજન છે. રોડ સેફ્ટી કમિશનર એસ.એ. પટેલ દ્વારા લોકોને સલામત વાહન ચલાવવાનું મહત્વ સમજાવતા તથા APMC ખાતે આવતા વાહનો તથા ખાસ કરીને રાત્રિના સમયે વાહનોમાં રેડિયમ/રીફ્લેક્ટર લગાડી માર્ગ અકસ્માત ઘટાડવા બાબતે લોક જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. રોડ સેફ્ટી અંતર્ગત સતત એક અઠવાડિયા સુધી આ અભિયાન ચલાવી દરેક વાહન પર રેડિયમ લગાડવામાં આવશે જેનો લાભ એપીએમસી ખાતેથી સર્વ લઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી, APMC ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા ટ્રાફ્કિ પોલીસ તથા RTO સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને જાહેર જનતામાં ટ્રાફ્કિ જાગૃતિ વધારવાના આશયથી APMC ખાતે આવેલ વાહનો પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રેડીયમ/રીફ્લેક્ટર ટેપ પણ લગાડવામાં આવી હતી. સાથે જ સલામત ડ્રાઈવિંગ - સુરક્ષિત જીવનનો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ARTO ગાંધીનગર ડી. બી.વણકર , પીએસઆઈ આર. એમ. દેસાઈ સહિત સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવર સમુદાય, ખેડૂતો તેમજ શાક માર્કેટના વાહન વ્યવહાર સાથે સંકળાયેલા નાગરિકો હાજર રહ્યા હતાં.










