ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને ગીર અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક, પાણિયા અભયારણ્ય તથા મિતિયાળા અભયારણ્ય ફરતે આવેલા 2 થી 8 કિલોમીટર સુધીના ઈકો સેન્સિટિવ ઝોનમાં રહેણાંક-વાણિજ્ય- ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અથવા તેમના દ્વારા અધિકૃત સક્ષમ જંગલ અધિકારીના ના-વાંધા પ્રમાણપત્ર લેવાને બદલે સ્થાનિક કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની ચાર સભ્યોની સમિતિ દ્વારા એનઓસી લેવાનું તેમજ આ બધી પ્રવૃત્તિઓનું નિયમન આ જ કમિટી મારફત કરાવવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકારના આ પગલાંથી વનવિભાગની આખરી સત્તા ઉપર કાપ લદાયો હોવાનું દેખીતી રીતે જણાય છે. જો કે વનવિભાગના અધિકારીઓ દ્વારા એવી દલીલ થઈ રહી છે કે આખા દેશમાં અભયારણ્યો ફરતેના ઇકો સેન્સિટિવ ઝોનમાં કમર્શિયલ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓની એનઓસી આપવાનું તથા નિયમન કરવાનું કાર્ય સ્થાનિક કલેક્ટર હેઠળની કમિટી જ સંભાળતી હોય છે અને એ રીતે રાજ્યમાં ગઠિત થયેલી કમિટીની ભલામણો ફાઇનલ મંજૂરી માટે આખરે તો ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પાસે જ આવવાની છે. રાજ્ય સરકારની સૂચનાથી વનવિભાગે ઉપરોક્ત નવા સુધારેલા નિર્ણય અંગે તા.1 -7 -2015 ના ઠરાવમાં સુધારા કરતો નવો ઠરાવ બહાર પાડયો છે. આ સુધારેલા ઠરાવ મુજબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંબંધિત નાયબ વનસંરક્ષકને સભ્ય સચિવ તરીકે તથા ડીડીઓ અને ડીએસપીને સભ્યો તરીકે સામેલ કરતી નવી કમિટી બનાવાઈ છે, આ કમિટી ગીર નેશનલ પાર્ક અને ત્રણ અભયારણ્યો ગીર, મિતિયાળા, પાણિયા ફરતે ઈકો ઝોનમાં હૉટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ, રહેણાંક, હોમ સ્ટે ઉપરાંત વાણિજ્યક અને ઔદ્યોગિક એકમોના બાંધકામોને મંજૂરી માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે.










