રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ જ વિચારપ્રેરક રહી, જેમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રના સહયોગ વિષયે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકાર અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ભારતને આત્મનિર્ભર બનાવશે, એટલું જ નહીં પરંતુ દેશને એક સ્થાયી, આરોગ્યપ્રદ અને પર્યાવરણીય સુરક્ષા સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.
સહકાર એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ કરે છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું કે, સહકારી સંસ્થાઓની ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ઊંડે ઊંડે સુધી પહોંચાડી શકાશે. ખાસ કરીને ગ્રામિણ ભારતમાં સહકારિતાનું માળખું ખૂબ મજબૂત છે અને તે ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ વર્ષ ૨૦૨૫ને 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ' તરીકે ઘોષિત કર્યું છે, જેનો વૈશ્વિક વિષય છે – ‘Cooperatives Build a Better World’ – એટલે કે 'સહકાર એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ કરે છે.'
પ્રાકૃતિક ખેતીના લક્ષ્યની સિદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે
આ આંતરરાષ્ટ્રીય અભિયાનની ભાવનાને વધુ સશક્ત બનાવવા માટે આગામી દિવસોમાં ગુજરાત રાજભવનમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા અને ખેડૂતો સાથે સીધા જોડાણ જેવા મુદ્દાઓ પર વિશદ્ ચર્ચા કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રાકૃતિક ખેતી અને સહકારનો આ સંગમ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યની સિદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.