ગુજરાત વિધાનસભાનું વર્ષ 2025-26નું બજેટ સત્ર આ વર્ષે બેઠકો માટે કાર્યરત રહેશે. જેમાં તારીખ 20મી ફેબ્રુઆરીએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કરશે. 27 બેઠકો માટે ચાલનાર આ સત્ર તારીખ 19મી ફેબ્રુઆરી 2025 થી 28 માર્ચ 2025 સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન- આભાર પ્રસ્તાવ હશે, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે.
26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.
બજેટ સત્ર હોવાથી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. જેમાં વર્ષ- 2009-2010 અને 2010-2011ના વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત, વર્ષ 2024-2025ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ 2025-2026ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, અંદાજપત્ર - બજેટ પર ચર્ચા, સરકારી સંકલ્પો, માંગણીઓ પર ચર્ચાઓ અને સરકારી- બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.