રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેમ્પ ડ્યૂટીમાં રાજ્ય સરકારે જનતાને મોટી રાહત આપી છે. હવે વડીલો પાર્જિત મિલકતમાં પુત્રીના વારસદારોને આ નિર્ણયથી રાહત મળશે. હવેથી સ્ટેમ્પ ડ્યૂટી 4.90 ટકાના બદલે ફક્ત 200 રૂપિયા રહેશે. જેનાથી ઘણા લોકોને મોટી રાહત મળશે.
રહેણાંક માટે 500, વાણિજ્ય માટે 1000 રુપિયા ડ્યૂટી નક્કી કરવામાં આવી
આ સિવાય લોન માટેના ગીરો ખતમાં પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત સરકાર તરફથી આપવામાં આવશે. હવેથી 25,000ની બદલે 5000 સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. ભાડા કરારમાં પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત સરકારે આપી છે. વાર્ષિક ભાડાની રકમના એક ટકાની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે રહેણાંક માટે 500, વાણિજ્ય માટે 1000 રુપિયા ડ્યૂટી નક્કી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.24705 કરોડની જોગવાઇ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા મંત્રી કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. આજે બજેટમાં આશરે 10 જેટલી મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 24705 કરોડની જોગવાઇ કરાઇ છે.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 1999 કરોડની જોગવાઈ
'સેવા સેતુ' અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાગરિકોની 3 કરોડ 7 લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલો છે. ત્યારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂપિયા 1311 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત 10 જિલ્લાના 13 તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર રૂપિયા 1 કરોડ એમ કુલ 13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.









