ગાંધીનગર વિધાનસભામાં બાળકોની સુરક્ષાને લઈને પૂછાયેલ સવાલના જવાબમાં બાળ આયોગના અધ્યક્ષે જવાબ આપ્યો. બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.


બાળ અધિકાર અને સુરક્ષા મામલે સરકાર સક્રિય

તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા The Commissions for Protection of Child Rights Act, 2005 હેઠળ મળેલ સત્તા (સેકશન - ૧૩, ૧૪ અને ૧૫) અન્વયે કસુરવાર સંસ્થાઓ /વ્યક્તિઓ સામે કાર્યવાહી અંગે સુઓ-મોટો તપાસ હાથ ધરી છે. અને સબંધિત તમામને સમન્સ પાઠવીને આજે તા- 17-3-25ના સોમવારના રોજ આયોગની કચેરી ખાતે મહત્વની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સંબંધિત સંસ્થાના હોદ્દેદ્દારો, સંચાલક મંડળ, પોલીસ તંત્રના જવાબદાર અધિકારી, નાયબ નિયામક સા.શૈ. પછાત, આચાર્ય (શાળા) વિગેરેને તાત્કાલિક આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવાવમાં આવેલ છે. આ અંગે પુનઃ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારશ્રીમાં સૂચન કરવામાં આવનાર છે. બાળ અધિકારોના ભંગ સંબંધિત ત્રણ ગંભીર મામલાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે,આ સુઓ-મોટો તપાસ હેઠળની ઘટનાઓમાં ત્રણ કેસો સામેલ હતા. જેમાં પચ્છમ ખાતે સરસ્વતી છાત્રાલયમાં બનેલી ઘટના: આ કેસમાં છાત્રાલયમાં રહેલા બાળકોની સુરક્ષાને લઇને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આયોગ દ્વારા સંબંધિત વિભાગો મારફત કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ સ્કૂલ ઑફ સાયન્સ ખાતે રેગીંગની ઘટના: વિદ્યાર્થીઓ સાથે થયેલી અયોગ્ય વર્તન અને રેગીંગની ઘટનાઓ સામે આયોગે ગંભીર નોંધ લીધી છે અને સંકળાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના અપાઈ છે.

કડક કાર્યવાહી

બોડેલી, જી.છોટાઉદેપુરમાં તાંત્રીક દ્વારા સગીર દિકરીની હત્યા અને બલી: આ અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક ઘટનામાં આરોપીઓને કડક શિસ્ત હેઠળ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આયોગ દ્વારા તાકીદે પગલાં ભરવા તેમજ રાજયનાં અન્ય જીલ્લાઓમાં પણ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તંત્રને સુચના અપાઈ છે.

વધતી ઘટનાઓ રોકવા અભિયાન મારફતે પ્રયાસ

આ સુનાવણી દરમિયાન, આયોગે તમામ સંકળાયેલા અધિકારીઓ, સંસ્થાઓ અને તંત્રને આ કેસોમાં ગહન તપાસ અને ત્વરિત ન્યાય માટે પકડ મજબૂત કરવા જણાવ્યું છે. બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે, અને આયોગ આ દિશામાં સક્રિય કામગીરી કરી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓની રોકથામ અને નિરાકરણ માટે જનજાગૃતિ અભિયાન, કાયદાકીય માર્ગદર્શિકા અને સજાગ નીતિ અમલ માટે પણ આયોગ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

  • Follow us on: