ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરુ કરવામાં આવ્યું છે. આ ATM વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જોઈએ, ગુજરાતનું પ્રથમ અનાજ ATM કેવી રીતે પહોંચાડી રહ્યું છે ગરીબો સુધી અનાજ.
દર મહિને પોતાના હકનું રાશન
ભાવનગરમાં રહેતા સવિતાબેનને વૃદ્ધાવસ્થામાં એકલતાની સમસ્યા સતાવી રહી છે. વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે તેમને હરવા-ફરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. આ સ્થિતિમાં પહેલા તે રાશન લેવા જતા ત્યારે લાંબી લાઈનના કારણે ખૂબ મુશ્કેલીઓ અનુભવતા. ક્યારેક તો સવિતાબેન રાશન લીધા વિના પાછા ફરતા. પણ હવે,અન્નપૂર્ણા અનાજ એટીએમના કારણે સવિતાબેન દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે.
આ સુશાસનની અનુભૂતિ ગરીબોના ચહેરા પર વર્તાઈ રહી છે
ઉર્મિલાબેને એક દાયકા પહેલા તેમના પતિને ગુમાવ્યા હતા. પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા માટે તે નાના-મોટા ઘરકામ કરે છે. પરંતુ રાશન –વિતરણ વખતે લાંબી લાઈનોના કારણે તેમનો સમય બગડતો અને કામે જઈ શકતા ન હતા.પણ હવે, ફક્ત પોતાની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી દર મહિને 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં અનાજ એટીએમથી સહેલાઈથી પ્રાપ્ત કરે છે.આ ગ્રેઈન એ.ટી.એમ.નો આજ સુધી 8,800થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે.આ પ્રોજેક્ટના અમલના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતામાં વૃદ્ધિ થઈ છે.નાગરિક સેવા સુધી ન પહોંચી શકે તો સેવાને નાગરિક સુધી પહોંચાડવાનો ધ્યેયમંત્ર સાથે કાર્યરત ગુજરાત સરકાર ટેક્નોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન આણવાનો પ્રયાસ કરી રહી છે.આ સુશાસનની અનુભૂતિ ગરીબોના ચહેરા પર વર્તાઈ રહી છે.









