- દેશના એક મતદાર ધરાવતા મતકેન્દ્ર એવું ગીરગઢડાનુ બાણેજ
- એક મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા
- મતદાન મથકમાં કલેકટરે જાતે કચરો એકઠો કરી સફાઇ કરી
ગીર વચ્ચે આવેલ ઘટાટોપ જંગલ વચ્ચે "બાણેજ આશ્રમ" પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાએ નિહાળી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે છે. મતદારોની દ્રષ્ટીએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે જરૂરી હોય છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યુ છે.
ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ
જ્યાં જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.
મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે
અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. બિસ્માર રસ્તાઓ વચ્ચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે. દેશમાં એક મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે.









