- આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની અસર રહેશે
- અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે
- દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ સમયે હવામાન વિભાગે આવનારા 4 દિવસને લઈને ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વોર્મ નાઈટની પણ અસર જોવા મળી શકે છે.
આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે
સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ અલર્ટ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહે તેવી સ્થિતિ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે છે. ચાર દિવસ બાદ તાપમાન ધીરે ધીરે ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.
કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ
આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધુ રહેશે.
ગરમીના કારણે વધી મોતની સંખ્યા
વાઘોડિયામાં એકનું મોત
વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે પટેલ ફળિયામાં રહેતો ૩૯ વર્ષનો જગદીશ રામજીભાઇ પટેલ છૂટક મજૂરી કામ કરતો હતો.વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તાની નજીક ફૂટપાથ પર તે પડી રહેતો હતો. ગઇકાલે રાતે તે વાઘોડિયા રોડની વંદના સ્કૂલમાં સૂઇ ગયો હતો. આજે સવારે સ્કૂલમાં સફાઇ કામ માટે આવેલા કર્મચારીએ તેને હલાવતા તેણે કોઇ રિસ્પોન્સ આપ્યો ન હતો. જેથી, તેને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તેને સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માંજલપુરમાં પણ મોત
માંજલપુર મુદ્રા હાઇટસમાં રહેતા ૬૨ વર્ષના તેજબહાદુર જયરામસિંહ સીંગ આજે સવારે સવા અગિયાર વાગ્યે જમીન પર પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.જ્યારે અન્ય એક કિસ્સામાં ન્યુ વી.આઇ.પી.રોડની શેષ નારાયણ સોસાયટીમાં રહેતા ૭૭ વર્ષના કિશનરાવ મારૃતિરાવ દિઘેને ૬મહિનાથી બી.પી.ની દવા ચાલતી હતી. આજે સવારે સાડા સાત વાગ્યે તેઓની તબિયત બગડતા ઘરેથી સારવાર માટે લાવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો ન હતો.
એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.









