- હવામાન વિભાગને પગલે મેઘરાજા મહેરબાન
- સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો
- ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા
આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગને પગલે મેઘરાજા મહેરબાન
આજે બપોર બાદ ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ખેતરો પણ પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોમાં પણ ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી હતી. તેમજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો
ગીર સોમનાથ જિલ્લામાં વેરવાળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપૂરમાં પણ વરસાદ શરૂ થયો છે. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ પડવાથી લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં શેરીઓમાં પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
જૂનાગઢ, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયું દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. અને રાજકોટ ખાતે એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.









