રાજ્યમાં પાટીદાર દિકરીના ન્યાય વચ્ચે હવે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે ન્યાય માટે ગુહાર લગાવી છે. રેશ્મા પટેલે વીડિયો પોસ્ટમાં કહ્યું છે કે હું પણ પાટીદારની દીકરી છું, જેની ઠુમ્મર, પરેશ ધાનાણી મને ક્યારે ન્યાય અપાવશે? તેવો સવાલ કર્યો હતો. વધુમાં રેશ્મા પટેલે કહ્યું કે મારા પર અત્યાચાર થયા ત્યારે તમે ચૂપ કેમ હતા? આ સાથે જ રેશ્મા પટેલે કોંગ્રેસના નેતાઓને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે 24 કલાકમાં હું રાજકમલ ચોકમાં પહોંચીશ.
પરેશ ધાનાણીએ આજે 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી
જણાવી દઈએ કે અમરેલી લેટરકાંડમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ આજે 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી અને પરેશ ધાનાણી સવારે 10 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યા છે. પાયલને ન્યાય અપાવવાની આ લડતમાં કોંગ્રેસ નેતા ધાનાણી સહિત અન્ય રાજકીય નેતાઓ પણ તેમને સાથ આપતા ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આ લેટરકાંડને લઈને ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે અને હવે લેટર કાંડ બાજુ પર રહેતા કોંગ્રેસ VS ભાજપ વચ્ચે યુદ્ધ છેડાયું છે.
પાયલ ગોટી સાથે બનેલી ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા
અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટી સાથે બનેલી ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, ત્યારે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી લેટર કાંડ મામલે પીડિત યુવતીની પડખે આવ્યા છે. યુવતીને સરાજાહેર લોકો વચ્ચે આરોપી તરીકે રજૂ કરી સરઘસ કાઢતા પરિવાર તેમજ પરેશ ધાનાણી જેવા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાયલ ગોટીને જ્યારે જેલમાં લઈ જવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા બેરહમીથી માર મરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબદ બાદ પાયલ ગોટીનું મેડિકલ ચેક અપ કરવા પોલીસની મહિલા ટીમ પહોંચી હતી. પરંતુ પાયલ ગોટીએ મેડિકલ તપાસ કરવાનો ઈનકાર કર્યો હતો. પાયલને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉગ્ર રજૂઆત કરી હતી.









