ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમો લઇ ચિંતા વ્યક્ત કરી. રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ લેવું જોઈએ નહીં. જો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. રાજ્ય ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતાં અસરકારક કામગીરી કરવાનું આહ્વાન કર્યું.
વૃદ્ધાશ્રમ કેમ બની રહ્યા છે તે ચિંતાનો વિષય
ગૃહમંત્રીએ અમદાવાદમાં જૈન દીક્ષા મહોત્સવ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમો ઘટાડવા અપીલ કરી.આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે નવા વૃદ્ધાશ્રમ કેમ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે. માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનારનું ફંડ ન લેવું જોઈએ. જે સંતાન પોતાના માતા-પિતાને વૃદ્ધામમાં મોકલે તેમનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ.
આ દિશામાં વિચારીશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ નહિ હોય. આ ઉપરાંત રાજ્યપાલ દેવવ્રતની કામગીરીની પ્રશંસા પણ કરી. રાજ્યપાલે તેમના વિચારો થકી ખેડૂતોનું જીવન બદલ્યું છે. આવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગુજરાતના ગૃહમંત્રી તરીકે આભાર માનું છું. અહિંસા વિશ્વ ભારતી જેવા સેન્ટર બધી જગ્યાએ સેન્ટર બનાવવા જોઇએ. વૃદ્ધોની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ કાર્યક્રમમાં રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમ ઘટાડવા પર ભાર મૂકયો.
વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો
નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષના વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો 350થી વધુ વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્યના 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે. કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો અને વૃદ્ધાશ્રમો પણ વધ્યા છે. ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે.પરિવારથી વૃદ્ધોને દૂર કરાતા વૃદ્ધાશ્રમોમાં 3520થી પણ વધુ સંખ્યા જોવા મળી. જેમાં 60 ટકા પુરુષો અને 40 ટકા મહિલા હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધાશ્રમોમાં સૌથી વધુ પુરુષો
હિંદુ પરંપરામાં સામાન્ય રીતે સંયકુત કુટુંબને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આજે વિકાસની લહાયમાં અને કારર્કિદી બનાવવાની દોડમાં કુટુંબ વિભક્ત થઈ રહ્યા છે. જેની માઠી અસર કુટુંબના વડીલોને થઈ રહી છે. કોઈપણ સમાજમાં આદર્શ સમાજ ત્યારે જ કહેવાય જ્યાં બાળકો અને વડીલોની સ્થિતિ વધુ સારી હોય. પરંતુ આપણી કમનસીબી છે કે આપણે વૈશ્વિક સ્તરે વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં અને વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
અગાઉ પણ હર્ષ સંઘવીએ સામાજિક સુધારાને લઈને ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. લોકોમાં તમાકુ અને માવા ખાવાનું ચલણ વધતા રાજ્ય ગૃહમંત્રીએ મહિલાઓને અપીલ કરતાં કહ્યું કે હાથમાં દંડો લઈને બેસશો તો ભાઈઓ મોઢામાં મસાલો નહીં મૂક. તમે ધોકો ઉપાડો તો એકેય માવો થૂંકવાની હિમંત નહીં કરે.









