- પ્રથમ રાઉન્ડ બાદ હવે બીજો રાઉન્ડમાં એડમિશનની પ્રક્રિયા કરાઈ શરૂ
- જે વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન નથી કર્યું તેવા વિધાર્થીઓ માટે GCASનું પોર્ટલ 4-6 જુલાઈ સુધી ચાલુ રહેશે
- રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
રાજયની ૧૫ સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS-ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.
વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય
આગામી તા. ૪ જુલાઈ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ જુલાઈ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.
વિધાર્થીઓને આપેલ સમય મુજબ કોલેજને રીપોર્ટીંગ કરવું
GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના ૧.૩૨ લાખ અને અનુસ્નાતક કક્ષાના ૩૧,૩૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત તા. ૨૭ જૂનથી ૨૯ જૂન સુધી બીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩.૪૨ લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧ થી ૩ જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિધાર્થીઓ ફેરફાર પણ કરી શકશે
GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે.GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.