• સૌરાષ્ટ્રના 21, મધ્ય ગુજરાતના 10, દ.ગુજરાતના 4 તાલુકામાં કપરી સ્થિતિ

  • 214માંથી 78 તાલુકામાં સરેરાશ પાંચથી સાત ઈંચ વરસાદ જ નોંધાયો !
  • 25 મી ઓગસ્ટે કોરાધાકોર લાલપુર, કલ્યાણપુર, દ્વારકા, અબડાસામાં 26થી સ્થિતિ પલટાઈ

ગુરૂવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટયુ છે પરંતુ, 25મી ઓગસ્ટને રવિવારથી શરૂ કરીને 28 ઓગસ્ટને બુધવાર વચ્ચેના ચાર દિવસમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદમાં સૌથી વધારે 40 ઈંચ વરસાદ જામનગરના ખંભાળિયા તાલુકામાં ખાબક્યો છે. ગુજરાતના 214 તાલુકામાં ઉક્ત ચાર દિવસ દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલમાં કુલ 40 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન, સરકારી વ્યવસ્થા અને વેપાર- ધંધાને અસર પહોંચ્યાનું તારણ છે.

25મી ઓગસ્ટને રવિવારે જામનગરના લાલપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા અને કચ્છના અબડાસા, લખપત તેમજ પોરબંદરના રાણાવાવ, પોરબંદર એમ સાતેક તાલુકામાં તો જરાય વરસાદ નોંધાયો નહોતો. પરંતુ, તે પછી જન્માષ્ઠમીના દિવસ- સોમવારથી બુધવારની સવાર સુધીમાં 27થી 19 ઈંચ જેટલો વરસાદ થયો છે ! 48થી 72 કલાકમાં સાગમટે આવો વરસાદ થયો હોય તેવુ પહેલીવાર થયુ છે ! ગ્રામિણ અને છુટોછવાયા માનવ વસાહતો તેમજ અલ્પ ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી વડોદરાની જેમ આ તાલુકાઓમાં મોટી હોનારતો જોવા મળી નથી પરંતુ, જનજીવન અને તેમાંય પશુપાલન તેમજ કૃષિક્ષેત્રને ભારે અસર પહોંચી છે. આ સાતેય તાલુકા સમેત 40 તાલુકામાં 40થી 16 ઈંચ જેટલો વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના 21, મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના 4, કચ્છના પાંચ તાલુકાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કુલ 251 તાલુકામાં રવિવારથી બુધવાર સુધીના ચાર દિવસોમાં 214 તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 37 તાલુકામાં તો સાવ નગણ્ય કહી શકાય તેટલો અર્થાત ચાર ઈંચથી ઓછો વરસાદ છે. સર્વત્ર મેઘ મહેર છતાંય 214માંથી 78 તાલુકામાં સરેરાશ પાંચથી સાત ઈંચ વરસાદ થયો છે !

  • Follow us on: