ઝઘડિયા તાલુકામાં ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રસ્તાનું જવાબદાર તંત્ર દ્વારા સમારકામ તો હાથ ધરવામાં આવ્યું. પરંતુ ધૂળ ઉડતા રસ્તાઓને છોડી દઇ તેનાથી પાંચસો મીટર દુર પેચવર્ક કરવામાં આવતા પહેલા હતી તેવી જ સ્થિતિ નિર્માણ પામી છે.
ઝઘડિયા મુખ્ય ચાર રસ્તા ઉપર ઉડતી ધૂળને કારણે સ્થાનિક દુકાનદારો તેમજ રાહદારીઓમાં બિમારી વધી રહી છે. ઉડતી ધૂળને ડામવા માટે નહીં પરંતુ જવાબદારી તંત્ર માત્ર દેખાડો કરવા માટે કામ કરી રહ્યું હોવાની લોકોમાં મોટી બુમો ઉપડી છે.
ગતિશીલ ગુજરાતના ઝઘડિયા તાલુકાના તમામ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. તો રસ્તાઓ ઉપર ઉડતી ધૂળ થી ધુમાડા કાઢી નાંખે તેવો વિકાસ જોવા મળી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયા તાલુકાના તમામ રોડ ઉપર મસ મોટા ઉંડા ખાડાઓ પડયા છે. મુલદ ચાર રસ્તાથી ઉમલ્લા સુધીના રસ્તાઓ તંદુરસ્ત માણસોની પણ કમર તોડી નાંખે તેટલી હદે બિસ્માર બન્યા છે. વરસાદની હાજરીમાં સદર રસ્તાઓ ઉપર કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે. તો વરસાદની ગેરહાજરીમાં ઉડતી થી કૃત્રિમ ધુમ્મસ નું વાતાવરણ જોવા મળે છે.રસ્તાઓ ઉપર ઉડતી ધૂળથી સૌથી ખરાબ હાલત બાઇક ચાલકોની થાય છે. ઝઘડિયા તાલુકાના રસ્તાઓ ઉપર એટલી હદે ધૂળ ઉડે છે કે બાઇક ચાલક આ રસ્તા ઉપરથી પસાર થઇ ઘરે પહોંચે તો પોતાના જ પરિવારને પતાની ઓળખ આપવી પડે છે. મુલદ, ગોવાલી, નાનાસાંજા, ગુમાનદેવ, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા ગામના ચાર રસ્તાઓ ઉપર સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ ઉડતી ધૂળના કારણે બિમાર બની રહ્યા છે.