- ટેક્નોલોજી અને કનેક્ટિવિટી વધતા ખેડૂતો માટે નેટવર્કિંગ સરળ બન્યું
- ખેડૂતો પાકમાં ખરાબી, દવા, ઉત્પદન, ભાવ સહિતની બાબતોની ચર્ચા કરે છે
- મોટાભાગના ગુપમાં 500 જેટલા સભ્યો હોય છે
આજના સમયમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. કોલેજીયન હોય કે સર્વિસ કરતા વ્યક્તિ, દરેક પોતાની અનુકુળતા મુજબ સમય કાઢીને મોબાઈલમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ડોકિયું કરી લેતા હોય છે. જોકે હવે માત્ર યુવાનો જ તેનો ઉપયોગ કરે છે તેવું નથી. ગુજરાતના ખેડૂતો પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો સ્માર્ટ બન્યા છે અને એટલે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકમાં ખરાબી, દાવા, ઉત્પાદન, ભાવ સહિતની બાબતોની ચર્ચા કરી એકબીજાની મદદ કરી રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ પાક માટે, ઓર્ગેનિક ખેતી માટે અલગ અલગ ગ્રૂપ પણ ચાલે છે. મોટાભાગના ગુપમાં 500 જેટલા સભ્યો હોય છે.
એટલું જ નહિ પણ આવા ગ્રુપમાં હવે કૃષિ નિષ્ણાતો અને ફર્ટીલાઈઝર અને કૃષિ સાથે જોડાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ પણ જોડાયેલા હોય છે. ખેડૂતો તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ ગ્રૂપમાં મુકે છે અને તેના વિષે અન્યો પાસેથી માર્ગદર્શન મેળવે છે. મોબિલ કનેક્ટિવિટીમાં વધારો અને ટેકનોલોજીએ ખેડૂતોનું જીવન સરળ બનાવી દીધું છે. અગાઉ કૃષિ નિષ્ણાતો સુધી પહોંચવું તેમજ હવામાન કે પછી ખાતર અને બિયારણ સંબંધિત માહિતી મેળવવી મુશ્કેલ હતી. જોકે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો, નિષ્ણાતો અને કંપનીઓ એકબીજા સાથે જોડાઈ છે તેના કારણે ખેતીને લગતી મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપી બન્યું છે.










