• શાલીગ્રામ શિલા પર લોખંડની છીણી અને હથોડીનો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ

  • નેપાળની કાલી ગંડકી નદીમાંથી આ બે ભારે ભરખમ શાલીગ્રામ શિલા લવાઈ
  • લોકો પોતાના આરાધ્યનો આકાર બનવા જઇ રહેલી આ શિલાઓના દર્શન કરીને ધન્ય બન્યા

અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિના નિર્માણ માટે નેપાળથી શાલીગ્રામ શિલા લાવવામાં આવી છે. આ શિલાઓ નેપાળની કાલી ગંડકી નદીમાંથી લવાઇ છે. કહેવાય છે કે લગભગ 6 કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી જ રામલલાની મૂર્તિનું નિર્માણ કરાશે પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે આ શિલાઓ પર લોખંડના સાધનોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. એટલે કે છીણી અને હથોડીના ઉપયોગ વડે મૂર્તિનું નિર્માણ નહીં કરાવાય. તો સવાલ એ ઊઠે છે કે આવી ભારે ભરખમ શિલામાંથી કઇ વસ્તુનો ઉપયોગ કરીને રામલલાની મૂર્તિ તૈયાર કરાશે?

નેપાળથી લવાઈ છે આ શાલીગ્રામ શિલાઓ । ગત 26 જાન્યુઆરીના રોજ નેપાળમાં આ શિલા ટ્રકમાં લદાઇ હતી. આ શિલાઓને ટેક્નિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ ચાર ક્રેનની મદદથી ઉતારવામાં આવી હતી. આ શિલા ગત એક ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચી હતી. તેના બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચારની સાથે આ દેવશિલાઓની પૂજા કરાઇ હતી અને ત્યારબાદ તેને રામમંદિર સમિતિને સોંપી દેવાઇ હતી. નેપાળથી અયોધ્યાના રસ્તે આ દેવશિલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઊમટી હતી. લોકો પોતાના આરાધ્યનો આકાર બનવા જઇ રહેલી આ શિલાઓના દર્શન કરીને ધન્ય બન્યા હતા.

હીરા કાપનાર સાધનથી થશે મૂર્તિનું નિર્માણ

કહેવાય છે કે લોખંડના ઉપયોગ સામે પ્રતિબંધ હોવાને કારણે આ શિલા પર છીણી અને હથોડીનો ઉપયોગ નહીં કરાય અને તેથી જ આ શિલામાંથી મૂર્તિ તૈયાર કરવા માટે હીરા કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનનો પ્રયોગ કરાશે. નેપાળથી લવાયેલી આ બે શિલાઓ પૈકી એક 26 ટન જ્યારે બીજી 14 ટનની છે. આ શિલાઓ પર રિસર્ચ કરનારા ભૂગર્ભ વિજ્ઞાની ડૉ. કુલરાજ ચાલીસેએ દાવો કર્યો હતો કે માતા જાનકીની નગરથી ભગવાન રામના સ્વરૂપના નિર્માણ માટે લવાયેલી દેવશિલા 7 હાર્નેસની છે તેથી તેને લોખંડના સાધનોથી તૈયાર આકાર આપી શકાય તેમ નથી. ડૉ. ચાલીસે અનુસાર લગભગ 6 કરોડ વર્ષ પ્રાચીન આ શિલાઓ પર લોખંડના સાધનોના સ્થાને હીરા કાપનારા સાધનોનો ઉપયોગ કરાશે.


  • Follow us on: