પાટીદાર આંદોલન વખતે ગુજરાત ભડકે બળ્યું હતું. આખા ગુજરાતમાં આંદોલન ચાલ્યું હતું, તો કેટલાક પાટીદાર નેતાઓ પર રાજદ્રોહના કેસ થયા હતા. ત્યારે હવે પાટીદાર આંદોલન કેસ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
પાટીદાર આંદોલન કેસ મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વખતો વખત આંદોલન સમયના કેસ પરત ખેંચાયા હતા. ચાર જેટલા કેસ પરત ખેંચવાના બાકી છે. કાયદાકીય પ્રક્રિયાના કારણે વિલંબ થયો છે. જે પરત ખેંચવા જેવા હતા તે કેસ પાછા ખેંચાયા છે. તોડફોડ કે બબાલ કોઇ હેતુસર થઇ ન હતી, આંદોલનકારીઓની પણ રજૂઆતો મળી હતી. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી થઇ રહી છે.
હાર્દિક પટેલની પ્રતિક્રીયા
ધારાસભ્ય હાર્દિક પટેલે આ અંગે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્યક્ત કરું છું.
સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થશે
પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાએ આ વિશે ઝી 24 કલાકે જણાવ્યું કે, બે મહિનાથી સરકાર સાથે વાત ચાલી રહી હતી. અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સાંજ સુધી કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે.









