મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગેલા છે. આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ
ભાજપ અને અન્ય ગઠબંધનવાળા પક્ષોએ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે અને જેમાં ખાસ મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા જ કહ્યું કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ત્યારે આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ આપી પ્રતિક્રિયા
મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે અને સવાલ કરતા કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી મળતી હોય તો ગુજરાતમાં કેમ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી? ગુજરાત અને દિલ્હી બંને જગ્યાએ સરકાર તો ભાજપની જ છે તો ગુજરાતના ખેડૂતોને અન્યાય કેમ? જો કે ખેડૂતોએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી તેનાથી અમને કોઈ વાંધો નથી પણ સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. ખેડૂતો કોઈ પણ રાજ્યના હોય બધે સમાનતા હોવી જોઈએ.
ખેડૂતોના પાકના ભાવ ડબલ થવાની જગ્યાએ ઘટ્યા
વધુમાં ખેડૂતોએ કહ્યું કે ખેડૂતોએ ગુજરાતમાં મત આપ્યા છે. અહીંયા 3 દાયકાથી ભાજપને સત્તા મળી છે તો કેમ ગુજરાતના ખેડૂતો માટે દેવા માફીનો એક શબ્દ નીકળ્યો નહીં. ખેડૂતોએ આકરા થઈને કહ્યું હતું કે જો ખેડૂતો જાગશે તો અન્યાય કરનારા લોકો માટે મોટી મુશ્કેલી થઈ શકે છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી, આજે ખાતર અને ડીઝલનો ભાવ ડબલ થઈ ગયો પણ મગફળી સહિતની ખેત પેદાશના ભાવ વધવાને બદલે ઘટી ગયા છે.
ગુજરાતના ખેડૂતોને અન્યાય કેમ?
વર્ષ 2012માં મગફળી 1,200ના ભાવે વેચાઈ હતી અને આજે મગફળી દિવાળી બાદ 1,100થી વધુના ભાવે વેચાતી નથી. જ્યારે આ 12 વર્ષમાં ખેડૂતને ખર્ચ ડબલ થઈ ગયો છે અને ખેડૂત ઉપર કુદરત અને સરકાર બંનેનો માર પડ્યો છે. એમને દેવાના ડુંગરમાંથી બહાર કાઢો. ખેડૂતોએ માગ કરી કે ગુજરાતના ખેડૂતોને પણ અન્ય રાજ્યોના દેવા માફીની જેમ દેવા માફીનો લાભ મળવો જોઈએ. જો અહીંથી જ તમે દિલ્હી ગયા હોય તો ગુજરાત દેવા માફી માટે પ્રથમ હકદાર છે. એમને અન્યાય કેમ?









