• PCBમાં અંદોરઅંદર ભાગલા પડતા જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ !

  • દારૂ-જુગારના અડ્ડાને બેફામ પરમિશન આપતા કેટલાક કર્મીઓને CPએ હટાવ્યા
  • સૌથી વધુ દરોડા પાડનાર પીએસઆઈની જ બદલી થતાં લોકોમાં કૂતુહલ ફેલાયું

અમદાવાદ શહેર પોલીસ કમિશનર હસ્તક આવતી પીસીબી શાખામાંથી નવ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. એક બાજુ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે ત્યાં બીજી તરફ્ તેમના જ હસ્તગત આવતી પીસીબીના કેટલાક અધિકારીઓ તેમને ગેરમાર્ગે દોરીને તેમની જ જાણ બહાર અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારના ધંધાઓની ગેરકાયદે પરમિશન આપીને પોતાના ખિસ્સા ગરમ કરતા હોવાની ચર્ચાએ જોર પકડેલું. આ અંગેની જાણ તેમને થતાની સાથે જ તાત્કાલિક અસરથી પીસીબી પીએસઆઈ વિજય ડાભી સહિત 10 લોકોની બદલી થઈ પરંતુ એક ડીવાયએસપીના ખાસ ગણાતા 'ઠાઠુ' નામથી ઓળખાતા પોલીસ કર્મીની બદલી ન થતાં અનેક તર્કવિતર્ક જોવા મળ્યા છે.સૌથી વધુ દરોડા પાડનાર પીએસઆઈની જ બદલી થતાં લોકોમાં કૂતુહલ પણ ફેલાયું છે. હાલ તેમની બદલી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પીસીબી પીઆઇ એમ.સી ચૌધરી પર એક્શન લેવાશે કે કેમ તે અંગે રહસ્ય ?

પીસીબીના પીઆઈ એમ.સી. ચૌધરીની હાલ બદલી કરાઈ નથી. જોકે એવી પણ ચર્ચા છે કે, રાજકીય ગોડફાધરનો ફોન આવતા તેમનો આબાદ બચાવ થયો છે. પીસીબીના પીઆઈ હોવા છતાં તેમના જ કર્મચારીઓ પોતાના ખિસ્સા ભરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. જો કે, આ બાબતે તેઓ અજાણ તો ન જ હોય તે સ્વાભાવિક છે.

કોની કોની બદલીઓ થઈ

મહંમદ યુનુસ અસગરઅલીની દાણીલીમડા, વીરમ ખેડાભાઈની શાહીબાગ, જયપાલસિંહ મેઘાણીનગરમાં, ઉમેશ રામભાઈની સોલામાં, ઘનશ્યામસિંહ ધીરુભાની સરખેજમાં, હેમાંગ મહેશભાઈની ઓઢવ, મહિપતસિંહની સાબરમતી, દિલીપકુમારની નિકોલ અને ધર્મેન્દ્રસિંહની સોલામાં બદલી કરાઈ છે.


  • Follow us on: