અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આસોમા અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઇ ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વરસાદના કારણે લાઠી તાલુકાના ખેડૂતોના હાલ બે હાલ થઈ ગયા છે.
ઉભા પાકને ભારે નુકસાન
આમતો અમરેલી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સતત વરસી રહેલા પાછતરા વરસાદથી ખેડૂતોના હાલ બે હાલ થયા છે જગતના તાત સાથે જગતનો નાથ રિસાયો હોય તેમ લાગી રહ્યું છે સતત વરસી રહેલા વરસાદે લાઠી સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોના મોઢેથી કોળીયો છીનવી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, સતત વરસતા વરસાદના કારણે ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે.

પશુના ચારાને પણ નુકસાન
ખેત પેદાશો પાક ઉપર હતા ત્યાજ મેઘરાજાએ આસો માસમાં અષાઢી માહોલ સર્જી દીધો છે જેને લઇ મગફળી, કપાસ,એરંડા, સોયાબીન, તલ, કઠોળ જેવા પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતોના કહેવા પ્રમાણે 60 થી 70 ટકા નુકસાની સહન કરવી પડી રહી છે.પશુઓ માટે મગફળીમાંથી નીકળતો ચારો પણ બળી ગયો છે ખેડૂતોને પશુ ચારાની પણ ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. મગફળીના પાથરા વરસાદી પાણીમાં સડી ગયા છે વરસાદ બંધ થાય તો મગફળી નીકળે પરંતુ મેઘરાજા બંધ થવાનું નામ નથી લેતા જેના કારણે મગફળીના પાથરા પાણીમાં જ પૂરા થઈ ગયા છે તો બીજી બાજુ કપાસની પણ હાલત એવીજ છે કપાસના ફાલ બધા ખરી ગયા છે આવેલો પાક પલળી જવાથી તે પણ ખરાબ થઈ ગયો છે , ભારે પવનના કારણે તુવેર કપાસ બધું આડું પડી ગયું છે ત્યારે ખેડૂતો એ હવે સરકારને તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માંગ કરી છે.
તૈયાર પાક નિષ્ફળ ગયો
ગત ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી પડેલ ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ બચેલ પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ થતાં ખેડુતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ બે વખત નુકસાની બાદ થોડો ઘણો પાક બચ્યો હતો .તે વિણવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યાં હતાં તે સમયે ફરી એક વખત તાજેતરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં નહી પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો મગફળી અને કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલ વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે મગફળીનાં પાથરાનું ધોવાણ થયુ અને કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.









