- બોટાદમાં ગીરાસદાર રાજપૂત સમાજે યોજી રેલી
- ભરૂચમાં રૂપાલાના પૂતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ
- અમીરગઢ તાલુકાના આઠ જેટલા ગામડાઓમાં ભાજપને પ્રવેશ બંધી ફરમાવી
રાજયમાં વિવિધ જગ્યાઓએ ક્ષત્રિય સમાજમાં પરષોત્તમ રૂપાલાને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક રેલીના રૂપમાં, ક્યાંક કાર્યક્રમોમાં વિરોધના રૂપમાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. હાલમાં બોટાદના ગઢડામાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ગીરાસદાર રાજપૂત સમાજે રેલી યોજી છે. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું છે. ગઢડાના ક્ષત્રિય ગીરાસદાર રાજપુત સમાજે બસસ્ટેન્ડ રોડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. ગઢાળી, ચિરોડા, વનાળી, બોડકી, અલમપર,ઈશ્વરીયા, નિગાળા સહિતના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો રેલીમાં જોડાયા હતા. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ઉમેદવારી રદ્દ થાય તેવી ગઢડા ક્ષત્રિય સમાજે માંગ કરી હતી.

ભરૂચના ઝઘડિયામાં ક્ષત્રિય સમાજનો વિરોધ
પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરની ટીપ્પણીના પડધા રાજકોટથી ઝઘડિયા સુધી પહોંચ્યા. ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈ પરષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર્તાએ હરીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનરો લાગ્યા. ગામમાં ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી નહીં સ્વીકારાય તો ચૂંટણી બહિષ્કાર અને ગામમાં પ્રવેશબંધીની ઘોષણા કરી દેવામાં આવી છે.
બનાસકાંઠાના અમીરગઢમાં રૂપાલા સામે રોષ
પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈને અમીરગઢ તાલુકામાં વિરોધ જોવા મળ્યો હતો. અમીરગઢ તાલુકાના આઠ જેટલા ગામડાઓમાં ભાજપને પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી હતી. ભાજપના નેતા કે કાર્યકર્તાઓને ગામમાં ન પ્રવેશવાના બેનર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ક્ષત્રિય સમાજના બહુમતી ધરાવતા ગામડાઓમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે.









