- સમીની રાજપૂર ગામના શાળાની છત જર્જરિત
- પતરા તુટી જતા શિક્ષક રિપેર કરવા માટે ચડયા હતા
- બાળકોનું હિત વિચારનાર શિક્ષકે ગુમાવ્યો જીવ
સમી તાલુકાના ભદ્રાડા પ્રાથમિક શાળા આચાર્ય સવારે આગામી ચોમાસાને લઈ સ્વચ્છતા અંતર્ગત શાળાના પતરા વાળા રૂમ ઉપર ચડી સાફ સફાઈ કરતા હતા તે સમયે અચાનક પતરું તૂટતા શિક્ષક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા મોત થયું હતું.
શિક્ષકનું મોત
આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરી હતી.ત્યારે ઉનાળુ વેકેશનમાં સ્કૂલ ના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નટવર ભાઈ દરજી આગામી ચોમાસામાં રૂમ માં વરસાદી પાણી ના આવે તે અને વિદ્યાર્થીઓ પરેશાન ના થવું પડે તે માટે સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા તે દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમ પટકાયા હતા, ઊંધા માથે નીચે પટકાયા ગંભીર ઇજાઓ થઈ હતી.

તંત્રને ફરિયાદ પણ કરી હતી
શાળાની આ સમસ્યા અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પગલા આ બાબત અંગે લેવામાં આવ્યા ન હતા. ત્યારે તેના કારણે વિધાર્થીઓ આવી અયોગ્ય પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા હતા.પરંતુ આગળ જતા શિક્ષક જ્યારે પતરા જાતે જ રીપેર કરવા માટે ચડયા તો તેમણે પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.પતરૂ તૂટતા શિક્ષક વર્ગખંડમાં નીચે પટકાયા હતા જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.આ ઘટના સામે આવતા હવે લોકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

પવનના કારણે પતરા અસ્તવ્યસ્ત થયા હતા
ભારે પવનને કારણે શાળાના પતરા અસ્તવ્યસ્ત ગયા હતા. તે પતરાના કારણે કોઈ વિધાર્થીને ઇજા ન થાય તે માટે શિક્ષક નટવરભાઇ દરજી રીપેર કરવા માટે પતરા ઉપર ચડયા હતા.જે બાદ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહી નોંધનીય છે કે, સ્કૂલના પતરા જૂના હોઇ તેને બદલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા.
67 શાળાઓને આદેશ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. DPEOના જણાવ્યા અનુસાર શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હતી. સમગ્ર જિલ્લામાં 67 શાળાના જર્જરિત રુમો ઉતારી લેવાના આદેશ કરી દેવાયા છે.









