- મચ્છરોના બ્રિડિંગ મળતા મનપાએ નોટિસ ફટકારી
- આરોગ્ય કમિશનરની સૂચનાનું કચેરીમાં પાલન નહીં
- રાજયના આરોગ્ય વિભાગના કમિશનરે લખ્યો પત્ર
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી માર્ગ મકાન વિભાગની કચેરીને મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી છે.મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા.જે માર્ગ મકાન વિભાગની અન્ય કચેરીઓની જાળવણીની જવાબદારી છે તેમની પોતાની જ કચેરીમાં ઠેર ઠેર મચ્છરોના બ્રિડિંગ મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.
અધિકારીઓ દોડતા થયા
રાજયના આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ગ મકાન વિભાગના કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.આરોગ્ય કમિશનરે આપેલી સૂચનનું મુખ્ય કચેરીમાં જ પાલન થતું ન હોય મહાનગરપાલિકાની ટીમ દોડી ગઈ હતી.કચેરી માટે ઠેર પાણી ભરેલા જોવા મળતા મચ્છરોના બ્રિડિંગ ઉત્પન થયા હતા.માર્ગ અને મકાન વિભાગને આરોગ્ય વિભાગે પત્ર લખીને સ્વચ્છતા રાખવા તેમજ એન્ટિલારવા એક્ટિવિટી માટે જણાવ્યું હતું. અન્ય સરકારી કચેરી કે મિલકતો તો દૂર રાજકોટમાં માર્ગ અને મકાન વિભાગની જ કચેરી ગંદકીથી ખદબદી રહી છે.

પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં
આરોગ્ય કમિશનરે આપેલા સૂચનનું મુખ્ય કચેરીમાં જ પાલન ન થતું હોવાનું બહાર આવતા જ મનપાની આરોગ્ય શાખાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમની સ્થળ તપાસમાં કેમ્પસમાં ભારે ગંદકી જોવા મળી હતી. જ્યારે કચેરીની છત પર સ્ટાફ પહોંચ્યો તો ત્યાં જોવા મળ્યું હતું કે, પાણીનો ટાંકો તૂટેલો છે તેમજ અન્ય ભંગાર પણ પડયો હોવાથી તેમાં પાણી જમા થયું છે અને તેમાં મચ્છરોનું બ્રીડિંગ થઈ રહ્યું છે.

કચેરીને નોટીસ ફટકારી
કચેરીને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમાં શું કાર્યવાહી કરવી તે મુદ્દાઓ પણ નોંધવામાં આવ્યા છે. સરકારી કચેરી કે જેની જવાબદારી સ્વચ્છતાની છે ત્યાં જ બેદરકારી જોવા મળતા આ ગંભીર બાબતને ગાંધીનગર જાણ કરવી જરૂરી હોવાથી આરોગ્ય શાખાએ આ અંગેનો અહેવાલ આરોગ્ય કમિશનર કચેરી તેમજ વેક્ટર બોર્ન ડિસીઝ વિભાગના સંયુક્ત નિયામકને પણ પત્ર લખ્યો છે.