• લોકોએ રૂપિયા ભર્યા પણ ઘરની ચાવી ના મળી
  • સુભાષનગરમાં આવાસના મકાનો તૈયાર પણ તંત્ર ચાવી નથી આપતું
  • ઘણા સ્થાનિકોને મકાન ફળવાયા પણ અન્ય જગ્યાએ ભાડે રહેવાનો વારો આવ્યો

નબળા વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારની આ યોજનામાં સ્થાનિક પ્રસાશનની બેદરકારીના લીધે ગરીબોના સ્વપ્ન સાકાર થતા નથી. આવી ઘટના ભાવનગર શહેરમાં સામે આવી છે અહીં 5 વર્ષ પહેલા ડ્રો થયેલા મકાનો આજ સુધી નહીં સોંપવામાં આવતા લાભાર્થીઓમાં રોષ જાગ્યો છે.

ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ વીપી સોસાયટી પાસે નબળા અને સામાન્ય વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે ભાવનગરમાં અહીં જે સ્કીમ બનાવવામાં આવી છે તેનો ડ્રો 2019માં થયો હતો અને લોકોએ રૂપિયા 3.50ની રકમ પણ ભરી દીધી હતી છતાં આજ સુધી આ લાભાર્થીઓને મકાન મળ્યા નથી સુભાષનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 728 મકાનો બનાવવામાં આવ્યા છે આ યોજનામાં મોટાભાગના મકાનો તૈયાર હોવા છતાં લાભાર્થીઓને સોંપવામાં આવ્યા નથી જે લાભાર્થીઓ છે તેઓ હાલ ઘરનું ઘર હોવા છતાં તંત્રના પાપે ભાડાના મકાનમાં રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


ટૂંક સમયમાં મકાનની ફાળવણી કરાશે

ભાવનગર શહેરમાં સુભાષનગરમાં બનેલા આ મકાનોમાં હાલ થોડું ઘણું કામ બાકી છે અને તેના કારણે હજુ આ મકાન તૈયાર થયા નથી તેમ તંત્રનો દાવો છે આ મકાન માટે સરકારને લાભાર્થીઓએ પૈસા ભરી દીધા છે જેને 5 વર્ષ નો સમય થવા આવ્યો છે અહીં જેને મકાન લાગ્યા છે તેઓ ગરીબ છે અને લોન કરી અથવા લોકો પાસેથી ઉછીના રૂપિયા મેળવીને મકાન મેળવ્યા છે અને હજુ તેઓ ભાડાના ઘરમાં રહે છે.અધિકારીનો દાવો છે કે આ મકાનો જુલાઈ સુધીમાં લાભાર્થીઓને સોંપી દેવામાં આવશે.


જલ્દીથી લોકોને ઘર મળે તેવી આશા

ઘરનું ઘર મળવાના સ્વપ્ન જોઈને 2019થી રાહ જોઈને બેઠેલા લોકોને તંત્રના પાપે હજુ સુધી ભાડાના મકાનોમાં રહેવું પડે છે તેવામાં શાસક પક્ષ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી લોકોને રહેવા માટેનો આશરો આપે તેવી આશા લોકો ને શાસકો પાસેથી જોવા મળી રહી છે.

  • Follow us on: