ઝાલાવાડના ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ગત તા. 25મી ઓગસ્ટની આસપાસ ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાનીનો સર્વે હજી પુરો થયો પણ નથી.


ત્યાં બીજા રાઉન્ડના ભાદરવા માસના પાછોતરા વરસાદે સીમ ખેતરોમાં પુનઃ જળભરાવની સ્થિતિ સર્જતા ખેડૂતોના રહ્યાસહ્યા પાકનો પણ ખાત્મો બોલાવી દીધો હોવા છતાંય હજી સુધી ખેતીવાડી વિભાગની ટીમ સરવાળ, સોખડા સહિતના અનેક ગામડાઓમાં સર્વે માટે નહીં પહોંચતા ખેડૂતોએ રોષ વ્યકત કરી તાત્કાલિક સર્વેની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલાવાડના ખેડૂતો હાલ ભારે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહયા છે. ગત તા. 25મી ઓગસ્ટના ભારે વરસાદ બાદ પાક નુકશાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની વાત હતી. પરંતુ મોટાભાગના ખેતરોમાં પ્રથમ વરસાદથી થયેલા નુકશાનીનો સર્વે હજી થયો નથી. ત્યાં બીજા વરસાદે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે.

જિલ્લામાં સરવાળ, સોખડા સહિતના અનેક ગામડાઓમાં ખેતરોમાં હજી વરસાદી પાણી ભરાયેલા રહ્યા છે. જમીન સુકાઇ નથી અને પાક સુકાવા લાગ્યો છે. એમ છતાંય હજી સુધી પાક નુકશાનીનો સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગની ટીમ પહોંચી નથી. મોટાભાગના ખેતરોમાં સંપુર્ણ પાક નિષ્ફળ ગયા જેવી સ્થિતિ સર્જાઇ છે.

અમુક ખેડૂતોના કપાસના જીંડવા ફાટી જવા છતાં ખેતરોમાં જમીન લીલી હોવાના કારણે પગ મુકાય એમ ન હોવાથી કપાસ બગડી ગયાનું સ્પષ્ટ દેખાઇ રહયુ છે. ખેતરોમાં નજરે પાકને મોટાપાયે નુકશાન થયાનું સ્પષ્ટ દેખાતુ હોવા છતાંય હજી સુધી અનેક જગ્યાએ પાક નુકશાનીનો સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગની ટીમ પહોંચી નથી. બીજી તરફ દિવાળીનો તહેવાર આવી રહયો છે. એવા સમયે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી તાત્કાલીક દરેક ખેડૂતોના ખેતરોએ જઇ પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક પુરતુ વળતર ચૂકવી ન્યાય મળે એવી સમગ્ર ઝાલાવાડના ખેડૂતોની માંગ ઉઠી છે.

હજુય ખેતરોમાં પગ મુકાય એવી સ્થિતિ નથી

વરસાદના બીજા રાઉન્ડ બાદ ખેડૂતોની થોડી ગણી આશા ઉપર પણ પાણી ફરી વળ્યુ છે. ત્યારે અનેક ખેતરોમાં હજી પણ પગ મુકાય એવી સ્થિતિ નથી. એથી ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે.

સવાલ ખેડૂતોનો : સર્વે કયારે થશે.? કેટલું વળતર મળશે..?

સરકારે પાક નુકશાનીના સર્વે કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. પરંતુ ઝાલાવાડમાં અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં પાક નુકશાનીનો સર્વે બાકી હોવાથી તમામ ખેતરોનો સર્વે કયારે થશે અને કેટલુ વળતર મળશે? એવી એક જ વાત અસરગ્રસ્ત વિસ્તારના દરેક ખેડૂતોનાં મોંઢેથી સાંભળવા મળી રહી છે.

સર્વે કરવા ખેતીવાડી વાળા ડોકાયા જ નથી : સરપંચ

સરવાળ ગામના સરપંચ અશ્વીનભાઇ પટેલે જણાવેલ કે એક વાર અમુક જ ખેડૂતોનો સર્વે થયો. ત્યારબાદ થોડા દિવસો પૂર્વે બીજી વખત ભારે વરસાદ થયો. ત્યાર પછી અનેક ખેડૂતોના ખેતરોનો સર્વે બાકી હોવા છતાંય હજી સુધી ખેતીવાડી વિભાગની ટીમ હજુ સુધી ફરકી નથી.


  • Follow us on: