- અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી
- હાઈકોર્ટની મુદતે જતા સમયે ટ્રાવેલ્સ સાથે વાન અથડાઈ હતી
- ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
રાજકોટથી હાઈકોર્ટના કામે નારી સંરક્ષણ ગૃહના કર્મી અને પોલીસ પાર્ટી અમદાવાદ જતી હતી. ત્યારે હાઈવે પર બલદાણા પાસે પોલીસ વાનને અકસ્માત થયો હતો. આ બનાવમાં ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ નારી સંરક્ષણ ગૃહના વૈશાલીબેનને અમદાવાદ હાઈકોર્ટમાં રજુ રખાવવાના હોય કર્મીઓ અને પોલીસ પાર્ટી ગત તા. 30મીએ સવારે રાજકોટથી અમદાવાદ જવા નીકળી હતી. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બલદાણા ગામના પાટીયા પાસે આગળ જતી ટ્રાવેલ્સ પાછળ પોલીસની વાન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ.ટી. વિભાગના ચાલક કીશન હર્ષદભાઈ જોષી, વૈશાલીબેન, પીસી દેવેન્દ્રકુમાર અઘારા, મહીલા પોલીસ કર્મી પુજાબા, નારી સંરક્ષણ કેન્દ્રના અધીકારી ગીતાબેન, કુલદીપસીહને ઈજાઓ પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. અકસ્માતના આ બનાવની વઢવાણ પોલીસ મથકે દેવેન્દ્રકુમાર અઘારાએ એમ.ટી. વીભાગના ચાલક કીશન હર્ષદભાઈ જોષી સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે.










