- દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઊજવણીની તૈયારીઓ ચાલુ
- 'હિંદ છોડો' આંદોલને અંગ્રેજ સરકારને હચમચાવી નાખી હતી
- હિંદ છોડો આંદોલનમાં ખાડિયાનું મહત્વનું યોગદાન છે
દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઊજવણીની તૈયારીઓ થઈ રહી છે. 1857માં સ્વાતંત્ર્યતાનો પહેલો સંગ્રામ થયો અને 1942માં 'હિંદ છોડો' આંદોલન જેણે અંગ્રેજ સરકારને હચમચાવી નાખી હતી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં 8 ઓગસ્ટ 1942ના દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું.
હિંદ છોડો આંદોલનમાં ખાડિયાનું યોગદાન
આંદોલનની ખાડિયામાં ચિંગારી પ્રગટી. જુદા-જુદા સ્થળોએ વિરોધ પ્રદર્શન થવા લાગ્યા. પોલીસે ફાયરિંગ શરૂ કરી દીધું અને એક ગોળી દેશભક્તોની ભીડમાં સૌથી આગળ ચાલી રહેલા ઉમાકાંતના કપાળને વીંધતી જતી રહી. 1942ના હિંદ છોડો આંદોલનના પહેલા શહીદ તરીકે ઉમાકાંત કડિયા અમર થઇ ગયા હતા.
ઉમાકાંત કડીયાનું શહીદ સ્મારક
“માં રો મા, તારો લાડકવાયો સૂતો છે સંગ્રામે રે, તેને જગાડીશ મા,
માં શરમાય શહાદત તેથી આંસુ એક પણ ટપકાવીશ મા!”
આ લાઇનો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા એક શહીદ સ્મારક પર લખેલા છે. શહીદ સ્મારક છે ઉમાકાંત કડીયાનું. ઉમાકાંત વર્ષ 1942ના ભારત છોડો આંદોલનના પ્રથમ શહીદ હતા. મહાત્મા ગાંધીએ 1942માં 8મી ઓગસ્ટે અંગ્રેજોને ‘હિંદ છોડો’નું આખરી એલાન આપ્યું હતુ. ગુસ્સે ભરાયેલી અંગ્રેજ સરકારે દેશભરમાં ગોળીબાર અને લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ઉમાકાંત કડીયા શહીદ થયા હતા. બીજા દિવસે એટલે 9મી ઓગસ્ટે વહેલી સવારથી જ સરકારે અમદાવાદમાં આગેવાનોને કેદ કરી લીધા હતા.

તસવીર: ગૂગલ
ખાડીયા વિસ્તારમાં 65થી વધુ શહીદ સ્મારક
દેશના દરેક સંગ્રામ, ચળવળ કે આંદોલનોમાં અમદાવાદના ખાડિયા વિસ્તારનું પ્રદાન રહ્યું છે. તેના શહીદોના 65 જેટલા સ્મારક અહીં મળે છે. લગભગ દોઢ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલાં ખાડિયામાં 179 પોળ અને ખડકીઓ આવેલી છે. અર્થાત દર ત્રીજી પોળમાં એક શહીદ સ્મારક છે. 1942ની 'હિંદ છોડો' આંદોલન દરમિયાન ગુજરાતના પ્રથમ શહીદ ઉમાકાંત કાડિયા શહીદ થયા હતા. તેઓ જે સ્થળે શહીદ થયા તે જ સ્થાને તેમનું સ્મારક બનાવાયું છે. ખાડિયા ગેટ પાસે પ્રસ્થાપિત શહીદ સ્મારકમાં વિવિધ આંદોલનો દરમિયાન શહીદ થયેલા સ્થાનિકોની યાદી કંડારાયેલી છે.
સ્વતંત્ર સંગ્રામ અને આઝાદી બાદ મોંઘવારી, ભ્રષ્ટચાર વિરુદ્ધ થયેલા આંદોલનોમાં કોઈ અને કોઈ રીતે ખાડિયાનું યોગદાન રહ્યું છે અને અહીંના યુવકોએ બિલાદન આપ્યાં છે.” 60ના દાયકાની શરૂઆતમાં મુંબઈ રાજ્યથી અલગ ગુજરાતની માગ સાથે 'મહાગુજરાત આંદોલન' અને 1973-74 દરમિયાન ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે 'નવનિર્માણ' આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા પણ ખાડીયાનું ઘણું યોગદાન હતુ.
વિનોદ કિનારીવાલા
ઉમાકાંત કડીયા સહિતના લોકોની શહાદત બાદ હિન્દ છોડો આંદોલનને વેગ મળ્યો હતો. વિનોદ કિનારીવાલા ગુજરાત કોલેજની સામે ધ્વજ ફરકાવવા માટે વિદ્યાર્થીઓ સાથે નિકળી ગયા હતા. વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. 9 ઓગસ્ટ 1942 ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બ્રિટિશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. અંગ્રેજ અધિકારીએ ગોળી મારતા વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા.