- દિલ્હી મોવડી મંડળ મહત્ત્વ ન આપતું હોવાની ચર્ચા
- ટિકિટ ફાળવણીને લઈ ઈન્દ્રનીલ રાજગુરુ નારાજ
- છેલ્લા કેટલાક દિવસથી બંને નેતા નિષ્ક્રીય
સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થવાની તૈયારી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજભા ઝાલા ભારે નારાજ હોવાની ચર્ચા જોવા મળી રહી છે. દિલ્હી અને મોવડી મંડળ મહત્ત્વ ન આપતા હોવાની કાર્યકરોમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. ટિકિટની ફાળવણીને લઈને પણ ઇન્દ્રનીલ રાજગુરુ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. કેટલાક દિવસથી બંને આગેવાનો આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રીય થઈ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
ખેડા જિલ્લામાં 'આપ'ના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષ દ્વારા વિધાનસભાની સીટ માટે ઉમેદવારની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'આપ' દ્વારા ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે. જેની ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જેમાં 4 થી 5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો ઉલ્લેખ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામા આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. દિલ્હીની આપની ટીમ દ્વારા ધમકી આપ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.









