જીરૂનો કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતાં પાક ફેરબદલી કરવી. સેન્દ્રિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો. સુકારો રોગના નિયંત્રણ માટે છાણીયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા મરઘાંનું ખાતર ૨.૫ ટન/હે. આપવું અથવા ૫ કિલોગ્રામ ટ્રાઇકોડર્મા હાર્જીયાનમને ૩ ટન છાણિયા ખાતર સાથે મીશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃધ્ધ કરી ૧ હેક્ટર માટે વાવણી સમયે જમીનમાં આપવું.
આ પાકનું વાવેતર કરો
રોગ-જીવાત પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત જીરૂ-૪ અને ગુજરાત જીરૂ-૫, ગુજરાત વરિયાળી ૨, ગુજરાત વરિયાળી ૧૧, ગુજરાત વરિયાળી ૧૨, ગુજરાત મેથી ૨ અને જી.એમ.-૪ (સુપ્રિયા), ગુજરાત ધાણા ૨ , ગુજરાત ધાણા-૪ (જી.સીઓઆર ૪:સોરઠ સુગંધ) અને ગુજરાત સુવા ૩ જેવી જાતોનું વાવેતર કરવું.
ચરમી રોગ
ભેજવાળું વાતાવરણ કાળી ચરમી માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું. રોગ નિયંત્રણ માટે વાવણી પહેલાં બીજને ૩ ગ્રામ થાયરમ અથવા ૩ ગ્રામ કાર્બેન્ડેઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ પ્રમાણે પટ આપવો. જીરૂના કાળી ચરમી રોગના નિયંત્રણ માટે પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના અંતરે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી. પિયત માટે કયારા ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું પિયત આપી શકાય.
પાકની રાખો કાળજી
વરિયાળીમાં મૂળનો કોહવારો અથવા થડનો સડો રોગના નિયંત્રણ માટે ધરૂને ફેરરોપણી કરતાં પહેલાં ૪૦ ગ્રામ ત્રાંબાયુક્તા દવાનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ધરૂને દ્રાવણમાં બોળીને વાવવા, વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
અધિકારીનો પણ કરો સંપર્ક
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી)