જામનગર શહેરમાં જલાની જારની 300 વર્ષ જુની પ્રાચીન ગરબીમાં સાતમાં નોરતે મધ્ય રાત્રીના આધ્યકવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ મુખે છંદો ગાઈને પુરુષોએ ઈશ્વર વિવાહનો પ્રસંગ ઉજવ્યો હતો.
રમનારા જ ગરબા ગાય છે
નવરાત્રી એટલે માંની અને માંની શકિતની વ્યકિતની પૂજાનું પવિત્ર પર્વ માતજીની પુજા, અનુષ્ઠાન, તપ અને આરતી-ગરબાનું નવરાત્રિમાં વિશેષ મહત્વ હોય છે. જામનગર ધાર્મિક પર્વની ઉજવણીમાં હંમેશા ઉત્સાહ દેખાડે છે. જામનગરમાં જલાની જારના ચોકમાં આશરે સવા ત્રણસો વર્ષથી પુરૂષોની ગરબી યોજાય છે. સંગીતના કોઇ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી, નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતના વાંજિત્રો, માત્ર નોબતના તાલે પુરૃષો દ્વારા રમવામાં આવે છે. આ ઈશ્વર વિવાહમાં પ્રોફેશનલ મ્યુઝીશ્યન, સીંગર રખાતા નથી.

આધુનિકતાનો સ્પર્શ થયો નથી
ગરબીમાં પરંપરાગત લાલ, પીળા, કેસરી, અબોટિયા પહેરી રમાતી આ ગરબીમાં ઈશ્વર વિવાહ કરવામાં આવે છે.આ ગરબીમાં કોઇ પણ જ્ઞાતિ ભેદ વગર 5 વર્ષના બાળકથી લઇને 80 વર્ષના વૃધ્ધ સામેલ થઇ શકે છે. શર્ત માત્ર એટલી છે કે તેણે ધોતી, અબોરીયુ પહેર્યુ હોવું જોઇએ અને લલાટે (કપાળમાં)ચંદન લગાડેલ હોય છે. જામનગરમાં જલાની જાર વિસ્તારમાં રમાતી આ પ્રાચીન ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી.
વાતાવરણમા અભિભૂત થઇ જવાય
આ ઈશ્વર વિવાહમાં જામનગર અને આસપાસના ગામમાંથી પણ લોકો ભાગ લેવા અને જોવા માટે આવે છે. આ ઈશ્વર વિવાહના પ્રસંગે એક પણ ક્ષણના વિરામ વગર સતત 3.30 થી ચાર કલાક સુધી છંદો ગાવામાં અને રમવામાં આવે છે. આ ગરબીમાં માત્ર પુરુષો જ હિસ્સો લે છે અને પીતાંબર પહેરવું ફરજીયાત છે, 150-200 પુરુષો જયારે મહાદેવમાં એકાકાર થઈને છંદ ગાય છે, ત્યારે વાતાવરણ અભિભૂત થઇ જવાય એવું બની જાય છે.

આ ગરબી વર્ષો જુની ગરબી છે
જેમાં શરૃઆતથી આજ દિવસ સુધી પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે. મંડપની મધ્યમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત માં નવદુર્ગાના પુતળા સદીઓ પુરાણા છે. સાંભળનાર શ્રોતાઓ તેનો સાર સમજી શકે તે માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે.









