જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી હોય ખેડૂતોમાં મૂંઝવણ સાથે રોષની લાગણી ફેલાઈ છે. કારણ કે, જામનગર તાલુકામાં 9000 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે, ત્યારે 52 દિવસમાં ફકત 3200 ખેડૂતોનો વારો આવતા ભારે દેકારો બોલી ગયો છે.


દરરોજ 150 ખેડૂતોને બોલાવવામાં આવે છે

એક જ કેન્દ્ર હોય ખરીદીમાં વિલંબથી ખેડૂતોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 150 ખેડૂતોને બોલાવામાં આવતા હોય 5000 ખેડૂત બાકી હોય હજુ એક માસ જેટલા દિવસો બાકી છે. બીજી તરફ ખેડૂતોને મગફળી વાડીમાં ખુલ્લા અથવા તો ઘરમાં રાખવાની ફરજ પડી રહી છે. જેના કારણે માવઠાની આગાહી વચ્ચે ચોરીની, ઉંદરના ત્રાસની ભીતિ છે. આટલું જ નહીં મગફળી સતત ખુલ્લામાં પડી હોય તડકાના કારણે મગફળીના વજનમાં ઘટાડો થતાં નુકસાન થઈ રહ્યું છે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 3 ઓકટોબરથી શરૂ કરવામાં આવી હતી

જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 3 ઓકટોબરથી શરૂ કરવામાં આવી હતી. જે 10 નવેમ્બર સુધી ચાલી હતી. જામનગર તાલુકામાં 9000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરાવી છે. ત્યારબાદ રાજ્યની સાથે જામનગર માર્કેટ યાર્ડમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા તા.15 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરરોજ 150 ખેડૂતોને મગફળીના વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં એટલે કે 52 દિવસમાં ફકત 3200 ખેડૂતોનો વારો આવ્યો છે. હજુ 5000 ખેડૂતોનો વારો આવવાનો બાકી છે. આથી વધુ એક ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવે.

ખરીદીમાં વિલંબથી ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો

જામનગર તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોય ખેડૂતો વધારે હોય તે સ્વાભાવિક છે. આમ છતાં જામનગર તાલુકામાં ફક્ત માર્કેટ યાર્ડ ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદીનું એક જ કેન્દ્ર હોય ખરીદીમાં વિલંબથી ખેડૂતો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ મગફળી ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ હજુ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો મેસેજ આવ્યો નથી. મગફળી તૈયાર પડી છે. પરંતુ સમયસર ન વેચાતા નાણાની ખેંચ પડી રહી છે. આગામી પાક માટે બિયારણ અને જંતુનાશક દવાની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે. 

  • Follow us on: