જેતપુર પંથકના એક સિંહે આજે સાંજના જેતલસર ગામની સીમમાં એક ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને હાથ અને પગમાં ઇજા પહોંચી હતી.
જેતપુર પંથકમાં સિંહ પરિવાર સાથે દોઢેક વર્ષથી ધામા નાખ્યા છે. જેતલસરના તનસુખભાઈ ઠુંમર નામના એક ખેડૂત મંડલીકપુર રોડ પર આવેલ પોતાની વાડીની બાજુ મજૂરોને મજૂરીએ આવવાનું કહેવા માટે ખેતરના ગાડામાર્ગ પર ચાલીને જતા હતા તેવામાં પાછળથી એક જોરદાર પ્રહાર થતા પડી ગયા હતા. જોયું તો એક સિંહ તેના પર હાવી થઈ ગયો છે. જેથી તનસુખભાઈએ પોતાના હાથ સિંહના મોંઢા પર મારતા સિંહ તરત જ ત્યાંથી તુવેરના વાવેતરમાં ચાલ્યો ગયો હતો. તનસુખભાઈના હાથમાં બે જગ્યાએ સિંહના દાંત તેમજ નખ મારવાથી લોહી વહેતુ હતું તેમજ પાછળ પગના ભાગે પંજો માર્યો હોય ત્યાં પણ લોહી વહેતુ હોવાથી તેઓ તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ગયા હતાં. તેમણે કહ્યું કે, ખેડૂતો તેમજ ખેતમજૂરોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે.










